રાજકોટની HCG હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદોના ઘેરામાં આવી છે. પોરબંદર નજીક અકસ્માતનો ભોગ બનેલા એક યુવકને વધુ સારવાર માટે રાજકોટની HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 58 દિવસની લાંબી સારવાર બાદ તેનું મોત નિપજ્યું છે. મૃતકના પિતાએ હોસ્પિટલના ડો. લાલસેટા સામે ગંભીર આક્ષેપ કરતા પોલીસમાં અરજી કરી છે. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલ સત્તાધીશોએ હેલ્થ વીમાની મસમોટી રકમ પડાવવા માટે સારવારના નામે નાટક કર્યું હતું અને પરિવારને યુવકની વાસ્તવિક સ્થિતિ વિશે અંધારામાં રાખ્યા હતા.
વીમાની રકમ પડાવવા સારવારનું નાટક?
પરિવારના જણાવ્યા અનુસાર, યુવક પર અલગ-અલગ ચાર જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા, પરંતુ એક ઇન્જેક્શન આપ્યા બાદ તેની તબિયત એકાએક લથડી હતી અને તેનું મોત થયું હતું. પિતાનો આક્ષેપ છે કે માત્ર નાણાં કમાવવાના હેતુથી યુવકના શરીર પર બિનજરૂરી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. આ મામલે સત્ય બહાર લાવવા માટે પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ આ મામલે હોસ્પિટલ અને જવાબદાર ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
