રાજકોટના કુખ્યાત જંગલેશ્વર વિસ્તારમાં સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયા બાદ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ને સૌથી મોટો ફયદો થયો છે. ગુનાખોરી માટે પંકાયેલા આ વિસ્તારમાં વર્ષોથી ધમધમતી વીજચોરી હવે બંધ થઈ છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ વીજ લોસ જંગલેશ્વર ફિડરમાં 62 ટકા હતો તે હવે ઘટીને નહીવત થઈ ગયો છે તે સાથે આ ફિડરમાં આવતા વિસ્તારમાં બે લાખથી વધુ યુનિટનો અનઅધિકૃત વપરાશ પણ ઘટયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
PGVCLના અધિકારીઓના જણાવ્યા મુજબ, વીજચોરીના કારણે જંગલેશ્વર ફીડરમાં વીજ લોસનું પ્રમાણ 62 ટકા સુધી પહોંચી ગયું હતું જે રાજકોટ શહેર જ નહી પરંતુ તમામ 12 સર્કલમાં સૌથી વધુ હતું. આ વિસ્તારમાં જે 1489 મકાનો તોડી પાડવામાં આવ્યા તેમાંથી મોટાભાગના મકાનોમાં બેફમ વીજચોરી થતી હતી. આંકડા મુજબ આ મકાનોમાંથી દર મહિને 2,38,017 યુનિટનો બિન-અધિકૃત વીજ વપરાશ થતો હતો એટલે કે, દર મહિને અંદાજે 13 લાખ રૂપિયાની વીજળીનો મફ્તમાં ઉપયોગ થતો હતો જેનું ભારણ આખરે સામાન્ય ગ્રાહકો અને તંત્ર પર પડતું હતું.
