રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ વીરપુર વિસ્તારમાં લોભામણી બચત યોજનાઓ અને ઈનામી સ્કીમના નામે નિર્દોષ લોકો સાથે છેતરપિંડી આચરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ થયો છે. વીરપુર પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબી (LCB) ની સંયુક્ત ટીમે સફળ ઓપરેશન પાર પાડીને આ કૌભાંડમાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી છે.
લોભામણી લાલચ આપી લાખો રૂપિયા ઉઘરાવ્યા
આરોપીઓએ 'જય જલારામ માર્કેટિંગ' અને અન્ય વિવિધ નામોથી આકર્ષક રોકાણ યોજનાઓ શરૂ કરી હતી. રોકાણકારોને ટૂંકા ગાળામાં મોટું વળતર અને કિંમતી ઈનામોની લાલચ આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. લોકો પાસેથી લાખો રૂપિયાની રકમ ઉઘરાવ્યા બાદ, જ્યારે પરત આપવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓ વાયદા કરવા લાગ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ અંદાજે રૂપિયા 7.05 લાખ જેટલી રકમ રોકાણકારોને પરત આપવાને બદલે પોતાના અંગત મોજશોખ અને ઉપયોગમાં વાપરી નાખી હતી.
