સમગ્ર ગુજરાતમાં એક તરફ મેદસ્વિતા મુક્ત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ફિટનેશ માટે રાજકોટમાં બેમિશાલ દોડવીર સામે આવ્યા છે. આ યુવાને અડગ મનના મુસાફ્રને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે. વર્ષ 2012થી માત્ર 400 મીટરથી દોડવાની શરૂઆત કરનાર શહેરના પથિકાશ્રામના મેનેજર તરીકે ફરજ બજાવતા 45 વર્ષીય સંજયભાઈ સોલંકીએ નવ વર્ષમાં 6 ફુલ મેરેથોન, 20થી વધુ હાફ્ મેરેથોન અને અલ્ટ્રા રન સફ્ળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે. તાજેતરમાં 2026ની ટાટા મુંબઈ મેરેથોન પૂર્ણ કરનારા સંજયભાઈ હાલ માથેરાન હિલની કઠિન હાફ્ મેરેથોનની તૈયારી કરી રહ્યા છે.

સંજયભાઈ વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ રોજ સવારે 1 કલાકમાં 10 કિમી દોડે છે. તેઓ માને છે કે, દોડવાથી જીવનમાં શિસ્ત આવે છે અને શરીર મજબૂત બને છે. ખાસ વાત એ છે કે, સંજયભાઈ પૂર્વ મ્યુઝિક ટીચર અને તબલાવિશારદ છે. રાત્રે ગિટાર વગાડીને તેઓ દિવસભરનો સ્ટ્રેસ દૂર કરે છે. તેમણે 'મેદસ્વિતામુક્ત ગુજરાત' માટે લોકોને રોજ 30 મિનિટ ખુલ્લા મેદાનમાં કસરત કરવા અને જંકફૂડથી દૂર રહેવા અનુરોધ કર્યો છે.