રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી કરવામાં આવતા જ અસંતોષના સૂર ઉઠ્યા છે. ખાસ કરીને લોહાણા સમાજને અપેક્ષા કરતા ઓછી ટિકિટ મળતા સમાજના અગ્રણીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સમાજ દ્વારા કુલ 6 ટિકિટની માંગણી કરવામાં આવી હતી, જેની સામે ભાજપ હાઈકમાન્ડે માત્ર 3 ઉમેદવારોને જ મેદાનમાં ઉતારતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે રાજકોટના જાગનાથ મંદિર પાસે મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો એકઠા થયા હતા.

કિન્નાખોરીના આક્ષેપો અને 'સ્વાભિમાન સંમેલન'

શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા આયોજિત 'રઘુવંશી સ્વાભિમાન સંમેલન'માં ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, ધારાસભ્યે કિન્નાખોરી રાખીને લોહાણા સમાજની ટિકિટો કાપી નાખી છે. આ સંમેલનમાં ભાજપના વિરોધમાં રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો, જેમાં રસપ્રદ વાત એ રહી કે કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ લોહાણા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવશે.

જ્ઞાતિ સમીકરણો બગડતા ભાજપની ચિંતામાં વધારો

રાજકોટમાં લોહાણા સમાજ એક મોટું અને પ્રભાવશાળી મજબૂત મતનાધિકાર ધરાવતું જૂથ છે. રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા કરવામાં આવેલા આ સ્વાભિમાન સંમેલન બાદ ભાજપના આંતરિક વર્તુળોમાં ચિંતા વધી છે. જો સમાજની નારાજગી દૂર કરવામાં નહીં આવે, તો વોર્ડ મુજબના પરિણામો પર તેની સીધી અસર પડી શકે છે. બીજી તરફ, કોંગ્રેસના નેતાઓની આ સંમેલનમાં હાજરી સૂચવે છે કે વિપક્ષ આ અસંતોષનો મહત્તમ લાભ લેવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપના શીર્ષ નેતૃત્વ દ્વારા આ ડેમેજ કંટ્રોલ માટે કેવા પગલાં લેવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો