રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી દેશની રાજધાની દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન જ એક મોટી દુર્ઘટના ઘટતા ટળી છે. વિમાન હજુ આકાશમાં ઉડાન ભરી રહ્યું હતું તે જ સમયે અચાનક પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલોટે ભારે સતર્કતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા
મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. વિમાન હવામાં ફંટાયું કે તુરંત જ પક્ષી એન્જિનના પંખા સાથે અથડાયું હતું, જેના કારણે એરલાઇન્સના પંખાના બ્લેડને મોટું નુકસાન પહોંચ્યું હતું. પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ ગઈ હતી. સદનસીબે પાયલોટની સમયસૂચકતા અને કુશળતાના કારણે વિમાનને સુરક્ષિત રીતે રનવે પર પાછું ઉતારી લેવામાં આવ્યું હતું, જેથી મોટી હોનારત ટળી હતી અને તમામ 124 મુસાફરોનો આબાદ બચાવ થતાં એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.













