સોમવારથી રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિતના સૌરાષ્ટ્રના વિવિધ નાના-મોટા શહેરોમા દૂંદાળા દેવના મહોત્સવનો ધામધૂમથી આરંભ થશે. નાના-મોટા પંડાલો અને ઘરે આંગણે વાજતેગાજતે ગણપતિદાદાની મૂર્તિના સ્થાપન બાદ ગજાનન દેવના સ્તુતિ ગાનથી રોડરસ્તા અને શેરીઓ ગૂંજવા લાગશે. ઠેરઠેર સવારસાંજ પૂજા-આરતી અને સાંસ્કૃતિ કાર્યક્રમો યજાશે.

રાજકોટ શહેરમાં આશરે 500 જેટલા મોટા પંડાલ અને 10 હજાર જેટલા શેરી-ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવશે. આ વર્ષે વિવિધ મંડળો દ્વારા અવનવી આકર્ષક થીમ સાથે ભવ્ય આયોજનો કરાયા છે. દસ દિવસીય ઉત્સવ દરમિયાન રોજના હજારો કિલો પ્રસાદ વિતરણ, મહાઆરતી, કથા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. યુનિવર્સિટી રોડ, જે. કે. ચોકમાં એ.સી. ડોમમાં કાશીવિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ તૈયાર કરાઈ છે. એ વિશ આયોજક કુદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 50 બાય 130 ફૂટના ડોમમાં એક સમયે 50 લોકો દર્શન કરી શકે એટલી કેપિસિટી છે.

સોમવારે સવારે સ્થાપન બાદ મહાઆરતી થશે. અહીં દૂંદાળા દેવની સવારી એવા જીવંત ઉંદર 11ની સંખ્યામાં દર્શનાર્થીઓ જોઈ શકશે. ઉપરાંત અહીં શ્રીનાથજીની ઝાંખી, કાઠિવાડી રંગત, હસાયરો, બહેનો માટે રાસ-ગરબાના આયોજન થશે. 17મીએ વડાપ્રધાનના જન્મદિવસે મહારક્તદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં દર વર્ષે પંડાલોની સંખ્યા વધતી થાય છે. શહેરના કેટલાક મોટા પંડાલો મહિનો, દોઢ મહિનો અગાઉથી જ અવનવી થીમ, મૂર્તિ, રાત્રી દરમિયાન કાર્યક્રમ પ્રસાદી સહિતના આયોજનો અગાઉથી જ પ્લાન કરતા હોય છે. આ વર્ષે મુખ્ય પંડલોમાં એક લાખથી વધુ ભક્તો દાદાના દર્શનનો લાભ લેશે. શહેરમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને પગલે સુરક્ષા અને વીમા સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો