રાજકોટવાસીઓના ફેવરિટ ફૂડ અને ખાણીપીણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજકોટ મનપાનું ફૂડ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવ્યું છે. તાજેતરમાં ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા શહેરના કેવડાવાડી રોડ પર આવેલા 'કૃષ્ણા ઘી ભંડાર' માંથી શુદ્ધ ગાય-ભેંસના ઘી તરીકે વેચાતા જથ્થામાંથી સરકારી ધારાધોરણ મુજબ નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા હતા, જેનો સત્તાવાર રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં આ ઘી ખાવાલાયક ન હોવાનું અને તેમાં અન્ય સસ્તા તેલ કે ચરબીની ભેળસેળ હોવાનું એટલે કે સેમ્પલ 'ફેઇલ' હોવાનું જાહેર થતાં જ જાગૃત નાગરિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


સમગ્ર શહેરમાં વ્યાપક ચેકિંગ અને દરોડા

ઘીના નમૂના ફેઇલ થવાની ઘટનાને ગંભીરતાથી લઈને મનપાની ફૂડ શાખાના ઉચ્ચ અધિકારીઓની માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટીમો બનાવીને કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને જૂના રાજકોટના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૯ જેટલા નાના-મોટા ખાદ્ય પદાર્થોના ધંધાર્થીઓ, સ્વીટ માર્ટ અને ડેરી ફાર્મ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વન-ડે ચેકિંગ ઓપરેશન દરમિયાન ૧૦ મુખ્ય વ્યાપારી એકમો પર હાઇજીન (સ્વચ્છતા) અને સામગ્રીના સંગ્રહની ચકાસણી કરવામાં આવી હતી.

લાયસન્સ વિના વેપાર કરતા 9 એકમો રડારમાં

આ આખી ડ્રાઇવ દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરોએ માત્ર ક્વોલિટી જ નહીં, પરંતુ કાયદાકીય કાગળોની પણ તપાસ કરી હતી. જેમાં જોવા મળ્યું હતું કે ઘણા વેપારીઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના સત્તાવાર લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના જ વર્ષોથી ધંધો ધમધમાવી રહ્યા હતા. તંત્રએ આવા ૯ ધંધાર્થીઓને પકડી પાડીને લાયસન્સ બાબતે કડક કારણદર્શક સૂચનાઓ આપી છે અને નિયત સમયમાં લાયસન્સ ન મેળવનારની દુકાનો સીલ કરવાની ચેતવણી આપી છે. ફૂડ વિભાગની આ કડક કાર્યવાહીથી રાજકોટના ભેળસેળિયા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Surat: લાલગેટ કાપડ બજારમાં પાંચ માળની બિલ્ડિંગમાં આગ, 10 લોકોનું સફળ રેસ્ક્યુ

  • Follow us on: