સૌરાષ્ટ્ર-કચ્છમાં જેઠ મહિનો પુરો થઈ ગયો છે પરંતુ હજુ ચોમાસાના કોઈ એંધાણ નહી હોવાથી ખેડુતોમાં ચોમાસાને લઈ ગરમી જેવો જ ઉચાટ છે જો ચોમાસામાં વરસાદ ખેંચાશે તો સૌરાષ્ટ્રમાં પાણીની હાડમારી સર્જાવાના સ્પષ્ટ અણસાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના 81 ડેમમાંથી 29 ડેમના તળીયા દેખાઈ ગયા છે બાકીના બાવન ડેમમાં પાણીનો નહીવત જથ્થો છે.


પાંચ જિલ્લામાંથી દ્વારકા જિલ્લામાં અત્યારે માત્ર 3.45 ટકા, જામનગર જિલ્લામાં 15.27 ટકા, મોરબી જિલ્લામાં 24.89 ટકા, રાજકોટ જિલ્લામાં 29.41 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 23.45 ટકા જ જળ જથ્થો હોવાનો સરકારી તંત્રએ દાવો કર્યો છે. આથી સૌરાષ્ટ્રના તમામ 141 ડેમનો આધાર હવે એક માત્ર સરદાર સરોવર ડેમ ઉપર જ છે. સૌની યોજનાથી આ ડેમ ભરવામાં આવી રહ્યા છે જો સરદાર સરોવરનું પાણી બંધ કરવામાં આવશે તો આગોતરૂ વાવેતર કરનાર ખેડુતોને હાડમારીનો સામનો કરવો પડશે.

સૌરાષ્ટ્રમાં પાણીની કટોકટીના મંડાણ થઈ ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ધીમે-ધીમે પાણીનો કકળાટ ઉઠી રહ્યો છે.રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા પાંચ જિલ્લાઓમાં જળાશયોના તળિયા દેવાવા લાગ્યા છે. 5 ડેમ સંપૂર્ણપણે સુકાઈ ગયા છે અને અન્ય 24 ડેમમાં માત્ર 10% કે તેનાથી ઓછું પાણી બચ્યું છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો પીવાના અને સિંચાઈના પાણી માટે મોટો પોકાર પડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

સૌથી કપરી સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાની છે જ્યાં જિલ્લાના તમામ ડેમમાં થઈને માંડ 3.5% પાણીનો જથ્થો જ બચ્યો છે. સાની ડેમ સાવ ખાલીખમ થઈ ગયો છે અને બાકીના મોટાભાગના ડેમોમાં પાણી 10% ની નીચે સરકી ગયું છે. જામનગર જિલ્લો પણ આ જળસંકટમાંથી બાકાત નથી ત્યાં પણ કુલ જળસંગ્રહ માત્ર 15.27% જ છે જેમાં રૂપાવટી ડેમ સંપૂર્ણ સૂકો ભઠ્ઠ થઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: