કચ્છના રાપર તાલુકામાં હાલમાં રવિ પાકની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને ખાતરની અછતના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતાં ખેડૂતોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.


રાપર તાલુકામાં ખાતરની અછત

ખાસ કરીને ખેંગારપર ગામમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અહીં ખેડૂતોને ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. આજે પણ ખેડૂતો ખાતર લેવા માટે સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. લાંબો સમય રાહ જોયા પછી પણ પૂરતો જથ્થો ન મળતાં ખેડૂતોને ખાતર માટે ધક્કા ખાવા પડી રહ્યા છે.

ખાતરનો પૂરતો જથ્થો ફાળવવા ખેડૂતોની માગ

રવિ પાક (શિયાળુ પાક) માટે ખાતર અત્યંત આવશ્યક છે, અને સિઝનના મુખ્ય સમયે જ તેની અછત સર્જાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર ખાતર નહીં મળે, તો તેમના પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરતો જથ્થો રાપર તાલુકામાં ફાળવવામાં આવે તેવી ઉગ્ર માગ કરી છે, જેથી તેઓ સમયસર વાવણી અને ખાતર આપવાનું કામ પૂરું કરીને તેમના પાકને બચાવી શકે.

  • Follow us on: