સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીના રહીશો જે છેલ્લા કેટલાક સમયથી ચિંતા અને અનિશ્ચિતતામાં જીવી રહ્યા હતા, તેમના માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેનો અર્થ છે કે બિલ્ડિંગ રહેવા માટે સુરક્ષિત છે.


SVNIT ની ટીમે કર્યું નિરીક્ષણ

આ મામલે ગંભીરતા દાખવીને આજે સવારે SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ની એક નિષ્ણાત ટીમે શિવ રેસીડેન્સીની મુલાકાત લીધી હતી. આ ટીમે બિલ્ડિંગના પાયાથી લઈને સ્ટ્રક્ચરની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ બાદ ટીમ દ્વારા આપવામાં આવેલો પ્રાથમિક રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

આવતીકાલથી રહીશો પરત ફરી શકશે

રિપોર્ટ પોઝિટિવ આવવાને પગલે, રહીશોને આવતીકાલથી પોતાના ઘરમાં રહેવા જવા માટે મંજૂરી મળી ગઈ છે. આવતીકાલે સવારે SMC (સુરત મહાનગરપાલિકા) ના અધિકારીઓ સ્થળ પર પહોંચશે. અધિકારીઓ રહીશોને સત્તાવાર રિપોર્ટ બતાવશે અને ત્યારબાદ વિધિવત રીતે ઘરમાં પ્રવેશવાનો આદેશ આપશે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: