સંતભૂમિ સાયલામાં સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય ભગવાન રામલલ્લાના ભવ્ય મંદિરની અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તિથી નિમીતે મહા પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું.પ્રભાતફેરીનો પરોઢે સાયલા લાલજી મહારાજની જગ્યા મંદિરથી પ્રારંભ થયો હતો તેમજ શ્રી રામ જય રામ, જય જય રામની ધૂન બોલાવતા ગામની મુખ્ય બજારો, શેરી મહોલ્લામાં ફરતા સમયે લોકો સ્વયંભૂ આ ધાર્મિક કાર્યમાં સામેલ થયા હતા. કાર્યક્રમમાં વિવિધ હિંદુ સંગઠનો સાથે ગામના 7 ધાર્મિક અને સામાજિક મંડળો જોડાયા હતા. યુવાનો દ્વારા ઉતરાયણના દિવસથી પ્રભાતફેરી કાઢી પક્ષીઓ માટે સેવાકીય અને જીવદયાની ભાવના સાથે ઘરે ઘરેથી ચણ એકત્ર કરવામાં આવી રહ્યું છે ત્યારે રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની તીથી નિમીતે તે તમામ મંડળો આ પ્રભાતફેરીમાં સામેલ થતા રામ નામના જયકાર સાથે સવારે ધાર્મિક માહોલ સર્જાયો હતો. ગામના દરેક શેરી, મહોલ્લાઓમાં લોકોએ પોતાના ઘર બહાર દીવડા પ્રગટાવી ઉજવણી કરતા દિવાળીની અનુભૂતિ કરાવી હતી. મહા પ્રભાતફેરીમાં ગામના તમામ હિન્દુ સમાજના લોકો, આગેવાનો સહિતના જોડાતા વાતાવરણ ભગવામય બન્યું હતું. ધર્મ સાથે અબોલ પક્ષીઓની સેવાના ઉત્તમ ભાવ સાથે આયોજિત પ્રભાતફેરીમાં યુવાનો દ્વારા ગામમાંથી પક્ષીઓ માટે 70 મણથી વધુ ચણ એકઠું કર્યું હતું.ગામના લગભગ તમામ વિસ્તારોમાં નીકળેલી પ્રભાતફેરીમાં લોકોએ દીવડા પ્રગટાવી ફ્ટાકડા ફેડી ઉજવણી કરી હતી તેમજ ગોરડીયા હનુમાનજીની જગ્યાએ સામૂહિક મહા આરતી બાદ વિરાટ હિન્દુ સંમેલનમાં સંતગણની ઉપસ્થિતિમાં રામભક્તો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: