વાઘનેરા ગામના ગામીત ફળીયાના ગ્રામજનો છેલ્લા
સાત વર્ષથી બિસ્માર રસ્તાની સમસ્યાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામમાં દિનેશભાઈ
કિશનના ઘરથી ગ્રામ પંચાયત સુધીનો અંદાજે 450 મીટરનો માર્ગ વર્ષોથી ખખડધજ હાલતમાં
હોવાથી ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. આ ગંભીર સમસ્યાને લઈ ગામના એક જાગૃત
યુવાને તાજેતરમાં યોજાયેલા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રસ્તાના નિર્માણની
માંગ કરતો પ્રશ્ન રજૂ કર્યો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષ 2019થી માર્ગની સ્થિતિ
અત્યંત ખરાબ બની ગઈ છે. માર્ગ પર મોટા ખાડાપડતાં વાહનચાલકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વયોવૃદ્ધોને દૈનિક
અવરજવરમાં ભારે મશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ
દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતાં માર્ગ વધુ જોખમી બની જાય છે અને અકસ્માતની શક્યતાઓ
વધી જાય છે.
આ માર્ગના પ્રશ્ને ગ્રામજનોએ અગાઉ તાલુકા
પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા વિકાસ અધિકારી તેમજ કલેક્ટર
કચેરી સુધી અનેક વખત રજૂઆતો કરી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ નક્કર કામગીરી હાથ
ધરાઈ નથી. માત્ર આશ્વાસનો મળતા હોવાના કારણે હવે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.
સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરનાર
યુવાને જણાવ્યું હતું કે ગામના લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધા માટે સંઘર્ષ કરી
રેહ્યા છે. રસ્તાના અભાવે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં, દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં તેમજ ખેડૂતોને ખેતીના કામકાજમાં અનેક મુશ્કેલીઓનો
સામનો કરવો પડે છે. તાજેતરમાં ઉકાઈ તાલુકાની રચના થતાં ગ્રામજનોમાં વિકાસ અંગે નવી
આશા જાગી હતી. જોકે વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ હજુ સુધી ન આવતાં લોકો હવે નવા
તાલુકાના વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. હાલ ગ્રામજનો તંત્ર પાસે એક
જ માંગ કરી રહ્યા છે કે વાઘનેરા ગામના આ બિસ્માર માર્ગનું કામ તાત્કાલિક ધોરણે
મંજૂર કરી શરૂ કરવામાં આવે, જેથી વર્ષોથી ભોગવવી પડતી
હાલાકીમાંથી લોકોને મુક્તિ મળી શકે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










