ડાયમંડ સિટી સુરતમાં ઠગબાજોએ હવે ભણેલા-ગણેલા તબીબોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી એક મહિલા તબીબ સાથે આયુર્વેદિક દવાના ધંધામાં ઊંચા વળતર અને રોકાણની લાલચ આપી રૂપિયા 58 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ મામલે સરથાણા પોલીસે મુખ્ય સૂત્રધાર મુકેશ ઉકાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


સુરતમાં મહિલા તબીબ સાથે 58 લાખની ઠગાઈ 

મળતી માહિતી મુજબ, ઠગબાજ મુકેશ ઉકાણી મહિલા તબીબના મહિધરપુરા સ્થિત ક્લિનિક પર અવારનવાર આવતો હતો. વાતો-વાતોમાં તેણે મહિલા ડોક્ટરનો વિશ્વાસ જીતી લીધો હતો અને પોતે આયુર્વેદિક દવાના મોટા ધંધા સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું. તેણે આ વ્યવસાયમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી.

ટુકડે-ટુકડે 58 લાખ પડાવ્યા

લાલચમાં આવીને મહિલા તબીબે આયુર્વેદિક દવાના ધંધામાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. ઠગબાજે અલગ-અલગ બહાના હેઠળ ડોક્ટર પાસેથી કુલ 58 લાખ રૂપિયાની માતબર રકમ મેળવી લીધી હતી. જોકે, લાંબો સમય વિતવા છતાં નફો તો દૂર, પોતાની મૂળ રકમ પણ પાછી ન મળતા મહિલા તબીબને છેતરપિંડીનો અહેસાસ થયો હતો.પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા મહિલા તબીબે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. સરથાણા પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે મુકેશ ઉકાણી નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: Ahmedabad: દાણીલીમડામાં LCBનો દરોડો, બેરલ માર્કેટ પાસે હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો


  • Follow us on: