સુરતના વાલક પાટિયા વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેનો ભોગ વધુ એક માસૂમ બાળક બન્યું છે. વાલક પાટિયા પાસે આવેલી કરુણેશ હોમ્સ સોસાયટીમાં એક બાળક પર શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં રખડતા શ્વાનોનો ઉપદ્રવ લાંબા સમયથી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નહોતા. હુમલાની આ ગંભીર ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક સુરત મહાનગરપાલિકામાં જાણ કરી હતી.
બાળક પર શ્વાનનો હુમલો
બાળક પર હુમલો થયાના સમાચાર મળતા જ સુરત પાલિકાની ડોગ કેચિંગ ટીમ હરકતમાં આવી હતી અને વાલક પાટિયા ખાતે પહોંચી હતી. પાલિકાની ટીમે સોસાયટીની આસપાસ આવેલા ખુલ્લા પ્લોટમાં તપાસ હાથ ધરી હતી અને ત્યાં છુપાયેલા રખડતા શ્વાનોને પાંજરે પૂર્યા હતા. જોકે, આ કામગીરીને લઈને સ્થાનિકોમાં "ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા" જેવો ઘાટ હોવાની ચર્ચાઓ જાગી છે. લોકોનું કહેવું છે કે જો પાલિકાએ અગાઉથી જ સતર્કતા દાખવી હોત, તો આજે આ માસૂમ બાળક હુમલાનો શિકાર ન બન્યું હોત. હાલમાં પાલિકાએ આ પંથકમાં સઘન તપાસ શરૂ કરી છે.













