ગુજરાતના વિવિધ જિલ્લાના ખેડૂતોની ફ્ળદ્રુપ જમીનોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ ટ્રાન્સમિશન ટાવર લાઈનના વિરોધમાં ગુરૂવારે ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ ઓલપાડ ટાઉનમાં એકત્ર થયેલા ખેડૂતોએ વિશાળ રેલી કાઢી ઓલપાડ મામલતદારને વિવિધ રજૂઆત અને માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું.
ગુરૂવાર,તા.25 ના રોજ ઓલપાડ, કામરેજ, માંગરોળ, માંડવી, બારડોલી, પલસાણા, મહુવા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ રેલી કાઢી હતી. ખેડૂત આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરમાં તેઓની પરમિશન વિના આ વીજ ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે. જેની સામે ખેડૂતોમાં ભારે અસંતોષ અને આક્રોશ વ્યાપ્યો છે.ગુજરાત ખેડૂત સમાજે કેન્દ્ર સરકારને આ બાબતે દખલગીરી કરી યોગ્ય કાયદો ઘડવા 09 જેટલી વિવિધ માંગણીઓ કરી છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આ તમામ મુદ્દાઓ પર યોગ્ય નીતિ કે કાયદો બનાવવામાં ન આવે, ત્યાં સુધી વીજ ટાવર કે લાઈન નાંખવા માટે જમીન ઉપર કબજો મેળવવાની તમામ કામગીરી પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવે તેવી માંગ કરાય છે. જો સરકાર જો આ માંગણીઓ ન સ્વીકારશે તો ખેડૂત સમાજે ગાંધીચિંધ્યા માર્ગે રાજ્યભરમાં આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.










