સુરતનો લાલગેટ વિસ્તાર કાપડના હોલસેલ અને રીટેલ વેપાર માટે અત્યંત ગીચ અને વ્યસ્ત માનવામાં આવે છે. અહીં આવેલી 'હનીફા મંઝિલ' નામની ૫ માળની ઇમારતમાં આજે અચાનક આગ લાગવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 'નઈમ ફેશન' નામની કાપડની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. કાપડનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી.


ઇમારતમાં ધુમાડો ભરાતા દસ લોકોના શ્વાસ રુંધાયા

આ દુર્ઘટનામાં સૌથી મોટો પડકાર એ હતો કે ઇમારતના બીજા અને ત્રીજા માળે બે પરિવારો રહેતા હતા. નીચે દુકાનમાંથી નીકળેલો ઝેરી ધુમાડો સીડીઓ મારફતે ઉપરના માળ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે ઘરની અંદર હાજર ૧૦ જેટલા લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા. બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જતાં પરિવારોએ બારી અને ગેલેરીમાંથી બૂમાબૂમ કરી મદદની ગુહાર લગાવી હતી. કાપડ બજારના વેપારીઓએ તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી.

ફાયર ફાઇટરોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની ગંભીરતાને સમજીને લાલગેટ અને આસપાસના ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ એક તરફ આગ બઝાવવાનું કામ શરૂ કર્યું અને બીજી તરફ બિલ્ડિંગમાં ફસાયેલા માસૂમ બાળકો, મહિલાઓ અને પુરુષોને બચાવવા માટે સ્પેશિયલ રેસ્ક્યુ લેડર (સીડી) અને સ્નોર્કલનો ઉપયોગ કર્યો હતો. ભારે જહેમત અને કથિત ધુમાડા વચ્ચે ફાયર ફાઇટરોએ એક-એક કરીને તમામ ૧૦ લોકોને સુરક્ષિત રીતે ઇમારતમાંથી બહાર કાઢી લીધા હતા. સમયસર મળેલા રેસ્ક્યુના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, જેને પગલે પરિવારોએ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને એસએમસી (SMC) ની ટીમનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Sabarkantha: રણાસણ-ગાંભોઈ રોડ પર કાર-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મહિલાઓના કમકમાટીભર્યા મોત

  • Follow us on: