સુરતનો લાલગેટ વિસ્તાર કાપડના હોલસેલ અને રીટેલ વેપાર માટે અત્યંત ગીચ અને વ્યસ્ત માનવામાં આવે છે. અહીં આવેલી 'હનીફા મંઝિલ' નામની ૫ માળની ઇમારતમાં આજે અચાનક આગ લાગવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 'નઈમ ફેશન' નામની કાપડની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. કાપડનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી.
ઇમારતમાં ધુમાડો ભરાતા દસ લોકોના શ્વાસ રુંધાયા
આ દુર્ઘટનામાં સૌથી મોટો પડકાર એ હતો કે ઇમારતના બીજા અને ત્રીજા માળે બે પરિવારો રહેતા હતા. નીચે દુકાનમાંથી નીકળેલો ઝેરી ધુમાડો સીડીઓ મારફતે ઉપરના માળ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે ઘરની અંદર હાજર ૧૦ જેટલા લોકો ત્યાં જ ફસાઈ ગયા હતા. બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જતાં પરિવારોએ બારી અને ગેલેરીમાંથી બૂમાબૂમ કરી મદદની ગુહાર લગાવી હતી. કાપડ બજારના વેપારીઓએ તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી.










