સુરતના મોટા વરાછા સ્થિત રામચોક ખાતે કારગિલ વિજય દિન નિમિત્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સુદામા ચોક નજીક રામચોક ખાતે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 100 ફૂટ ઊંચા તિરંગાની સ્થાપના માત્ર ધ્વજારોહણ નથી, પરંતુ દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, શૌર્ય અને ભારત પ્રત્યેની અવિચળ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. આ પહેલ આવનારી પેઢીઓને પણ રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપતી રહેશે.

વધુમાં, રાષ્ટ્રધ્વજારોહણ બાદ નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ત્યારબાદ કારગિલ યુદ્ધ સહિત દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, ધારાસભ્ય મુકેશ પટેલ સહિતના અગ્રણીઓ અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.