માંગરોળ તાલુકામાં પડેલા ભારે વરસાદનાં પગલે કીમ અને ભુખી નદીમાં પુર આવ્યા હતા. જેના કારણે ગામોમાં તેમજ કોતરોમાં પાણી ભરાઇ જતા મોટું સંકટ ઊભુ થયું હતું.
પુરનાં પાણી ગામડાઓમાં ફરી વળતા માંગરોળ તાલુકાનાં કુલ 53 જેટલા ગામો પ્રભાવિત થયા છે, જેનાં કારણે 2677 કુટુંબોની 6141 જેટલી માનવ વસ્તીને સીધી અસર પહોંચી હતી. આ કુદરતી આફતમાં ધારાસભ્ય ગણપત વસાવા સ્થાનિક પ્રશાસન સાથે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમણે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, સરકારી કર્મચારીઓ તેમજ સંબંધિત ગામોનાં તલાટી કમ મંત્રી, સરપંચો અને ભાજપનાં કાર્યકર્તાઓનાં સહયોગથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળાંતર કરાવ્યું હતું.
