સુરતના લાલગેટ વિસ્તારમાં મંગળવારે બનેલી એક સનસનાટીભરી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લાલગેટ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને હત્યાના મુખ્ય આરોપી શફી અખ્તર અંસારીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ઘાતકી હત્યા પાછળ પત્નીના આડા સંબંધો અને પારિવારિક અદાવત જવાબદાર હતી. ચોંકાવનારી વાત એ છે કે, આરોપી અને મૃતક બંને એકબીજાના નજીકના સંબંધીઓ જ હતા.
મૃતકને આરોપી શફી અંસારીની પત્ની સાથે આડા સંબંધો હતા
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક અલ્તમસ નામના યુવકને આરોપી શફી અંસારીની પત્ની સાથે આડા સંબંધો હતા. આ બાબતની જાણ શફીને થતાં તેના મનમાં અલ્તમસ પ્રત્યે ભારે અદાવત અને ગુસ્સો ભરાયો હતો. આ જ અદાવત રાખીને આરોપી શફીએ અલ્તમસને ઘેરવાની તક શોધી કાઢી હતી. લા
ઘાતક હુમલો કર્યો
લગેટ વિસ્તારમાં બંને વચ્ચે આ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં લોહીયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા શફી અંસારીએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે અલ્તમસ પર એકપછી એક ઘાતક હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું.
ચપ્પુના ઘા ઝીંકી હત્યા
આરોપીએ અલ્તમસના શરીરના અલગ-અલગ ભાગો પર ચપ્પુના અનેક જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, જેને કારણે અલ્તમસ લોહીલુહાણ થઈને ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લાલગેટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.
પોલીસે આરોપીને દબોચ્યો
પોલીસે ગુનો નોંધીને અલગ-અલગ ટીમો બનાવી ફરાર આરોપીની શોધખોળ આદરી હતી. લાલગેટ પોલીસે બાતમીદારોના નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યારા શફી અખ્તર અંસારીને દબોચી લીધો છે. હાલમાં પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.