ઓલપાડ, હાંસોટ, માંગરોળ, કામરેજ, ઉમરપાડા જેવા પાંચ તાલુકાનાં લોકો માટે ટ્રેન વ્યવહાર માટે કીમનું રેલવે સ્ટેશન જીવાદોરી સમાન છે. આ કીમ રેલવે સ્ટેશને ટ્રેનોનાં અપુરતા સ્ટોપેજ મળતા લોકોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી પ્રવતી રહી છે.

પાંચ-પાંચ તાલુકા સહિત કીમ વિભાગની જીઆઇડીસીનાં હજારો કામદારોની અવરજવર માટે કીમ રેલવે સ્ટેશન આશીર્વાદરૂપ છે. ભરૂચ અને સુરત વચ્ચે અંક્લેશ્વર બાદ વાર્ષિક કરોડો રૂપિયાની આવક ધરાવતુ હોવા છતા તંત્રના ઓરમાયા વર્તનથી કીમ સ્ટેશનનો સ્ટોપેજનાં વાંકે વિકાસ રૂંધાયો છે. ખાસ કરીને કીમને લોકશક્તિ, સયાજી તેમજ દહેરાદુન એક્સપ્રેસ ટ્રેનનાં સ્ટોપેજ માટે પ્રંસગોપાત રજૂઆત કરવામાં આવી છે. છતાં ટ્રેનના સ્ટોપેજ અપાયા નથી. બલ્કે કોરોનાં કાળ દરમ્યાન કીમમાં ઉભી રહેતી ત્રણ રનીંગ ચાલુ ટ્રેનોનાં સ્ટોપેજ પણ કોઇ અકળ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા હતા. કીમ વિસ્તારમાં યુનિવર્સીટી સહિત એન્જિનિયરિંગ કોલેજો આવેલી છે. જેમાં અસંખ્ય વિદ્યાર્થીઓ રાજ્યભરમાંથી કીમ ખાતે એડમીશન મેળવી અભ્યાસ કર છે. તેમને ટ્રેન વ્યવહાર માટે કીમનાં વિકલ્પે સુરત અથવા અંક્લેશ્વર, ભરૂચ સુધી લાંબા થવુ પડતુ હોય છે. જેની સીધી અસર અભ્યાસ ઉપર વર્તાઇ રહી છે. મર્યાદીત ટ્રેનોનાં સ્ટોપેજને કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં કીમ રેલ્વે સ્ટેશને સયાજી, લોક શક્તિ, સૌરાષ્ટ્ર જનતા, વલસાડ- દાહોદ ઇન્ટરસીટી, વલસાડ-વડનગર ઇન્ટરસીટી સહિતની ટ્રેનોનાં સ્ટોપેજ ફાળવવા લોકોની માંગણી છે.