સુરતના કતારગામ દરવાજા પાસે આવેલા નાસીરનગર વિસ્તારમાં થયેલા કથિત બોગસ અને ગેરકાયદેસર ડિમોલિશનનો મુદ્દો હવે માનવતાવાદી કટોકટીમાં ફેરવાઈ ગયો છે. રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને શાળાઓના કપાટ ખૂલી ગયા છે, ત્યારે નાસીરનગરના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના માસૂમ બાળકો સ્કૂલે જવાને બદલે પોતાના ઘરના કાટમાળ વચ્ચે આંસુ સારી રહ્યા છે. તંત્રની અણઘડ અને શંકાસ્પદ કામગીરીના કારણે આ સ્થાનીય રહીશો જ નહીં, પણ તેમના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઊભું થયું છે.


પુસ્તકો, નોટબુક અને બેગ બધું જ કાટમાળ નીચે દબાઈ ગયું

સ્થાનિક લોકોએ અત્યંત હૃદયદ્રાવક વ્યથા ઠાલવતા જણાવ્યું કે, ઓચિંતા કરવામાં આવેલા આ ડિમોલિશનના કારણે બાળકોના કપડાં, શાળાના પુસ્તકો, નોટબુક અને બેગ બધું જ કાટમાળ નીચે દબાઈ ગયું છે. સરકાર એકતરફ 'ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત' અને 'શાળા પ્રવેશોત્સવ'ના મોટા-મોટા બણગાં ફૂંકે છે, પરંતુ અહીં વાસ્તવિકતા તદ્દન અલગ છે. જે ગલીઓમાં ગઈકાલ સુધી બાળકો મુક્તમને રમતા હતા અને ભણતા હતા, તે ગલીઓ આજે કાટમાળનો ઢગલો બની ગઈ છે. બાળકો આજે રમે તો ક્યાં રમે? તેઓ પોતાના ઘર અને પુસ્તકો શોધી રહ્યા છે.

અધિકારીઓ અને રાજકીય નેતાઓ સંવેદનહીન બન્યા

બીજી તરફ, આટલી ગંભીર ઘટના બની હોવા છતાં સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય નેતાઓ સંવેદનહીન બનીને માત્ર જવાબદારીઓમાંથી છટકી રહ્યા છે. પાલિકા કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાઓ તપાસના નામે માત્ર એકબીજા પર દોષારોપણ કરીને ‘ખો-ખો’ રમી રહ્યા છે. આ ડિમોલિશન આખરે કોણે કર્યું? કોના આદેશથી કર્યું? અને કોના ઈશારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું? તે સવાલો આજે પણ અકબંધ છે. તંત્રની તપાસ અત્યાર સુધી બિલકુલ શૂન્ય સાબિત થઈ છે, જ્યારે ભોગ બનનાર પરિવારો ન્યાયની આશામાં રઝળી પડ્યા છે.


આ પણ વાંચો---     Gujarat Latest News Live : પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો હુમલો, 11 બાળકો સહિત 13ના મોત

  • Follow us on: