સુરતના કતારગામ દરવાજા પાસે આવેલા નાસીરનગર વિસ્તારમાં થયેલા કથિત બોગસ અને ગેરકાયદેસર ડિમોલિશનનો મુદ્દો હવે માનવતાવાદી કટોકટીમાં ફેરવાઈ ગયો છે. રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને શાળાઓના કપાટ ખૂલી ગયા છે, ત્યારે નાસીરનગરના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના માસૂમ બાળકો સ્કૂલે જવાને બદલે પોતાના ઘરના કાટમાળ વચ્ચે આંસુ સારી રહ્યા છે. તંત્રની અણઘડ અને શંકાસ્પદ કામગીરીના કારણે આ સ્થાનીય રહીશો જ નહીં, પણ તેમના બાળકોના ભવિષ્ય પર પણ જોખમ ઊભું થયું છે.
પુસ્તકો, નોટબુક અને બેગ બધું જ કાટમાળ નીચે દબાઈ ગયું
સ્થાનિક લોકોએ અત્યંત હૃદયદ્રાવક વ્યથા ઠાલવતા જણાવ્યું કે, ઓચિંતા કરવામાં આવેલા આ ડિમોલિશનના કારણે બાળકોના કપડાં, શાળાના પુસ્તકો, નોટબુક અને બેગ બધું જ કાટમાળ નીચે દબાઈ ગયું છે. સરકાર એકતરફ 'ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત' અને 'શાળા પ્રવેશોત્સવ'ના મોટા-મોટા બણગાં ફૂંકે છે, પરંતુ અહીં વાસ્તવિકતા તદ્દન અલગ છે. જે ગલીઓમાં ગઈકાલ સુધી બાળકો મુક્તમને રમતા હતા અને ભણતા હતા, તે ગલીઓ આજે કાટમાળનો ઢગલો બની ગઈ છે. બાળકો આજે રમે તો ક્યાં રમે? તેઓ પોતાના ઘર અને પુસ્તકો શોધી રહ્યા છે.













