સુરતના હરિપુરા, સોયશેરીમાં બાથરૂમમાં ગરમ પાણીના નળની ચકલી ચાલુ રહી જતાં ગિઝરમાંથી થયેલા કાર્બન મોનોક્સાઈડ ગેસ ગળતર થતાં કેમિકલ વેપારી 41 વર્ષીય ફૈઝઅહેમદ યુસુફ સૈયદ તેમની 37 વર્ષીય પત્ની અને 12 વર્ષીય પુત્ર ગૂંગળાઈને કમકમાટીભર્યા મોતને ભેટતાં આખો વિસ્તાર હચમચી ઉઠ્યો છે.


સામાન્ય ભૂલે સર્જેલી જાનહાનિ ટોક ઓફ ધી ટાઉન બની હતી

ઘટના સવારે સાડા આઠ વાગ્યે બહાર આવતાં ડી.સી.પી. રાઘવ જૈન, લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ચૌધરી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોયશેરી સૈયદ મંઝિલમાં ત્રીજા માળે રહેતા અને ભેસ્તાનના રોયલ કેમિકલના નામે બે મોટા ભાઇઓ સાથે કેમિકલનો વેપાર કરતા ફૈઝઅહેમદ સૈયદ છેલ્લા બે કલાકથી ફોન નહિ ઉપાડવાની સાથે દરવાજો પણ નહિ ખોલી રહ્યા હોઈ રામપુરાથી મોટા ભાઈ ઉસ્માન સૈયદ દોડી આવ્યા હતા અને પાડોશીઓ સાથે મળી દરવાજો તોડી નાંખ્યો હતો.

મૃતકોના શરીરમાં કાર્બન મોનોક્સાઈડ મળી આવ્યું હતું

અંદરનું દ્રશ્ય બિહામણું હતું. ૧૫ બાય ૪૦ના ગાળા ટાઇપના ફ્લેટમાં હોલ પાર કર્યા બાદ વચ્ચે આવતાં કિચનમાં ૧૨ વર્ષીય નોમાનની લાશ પડી હતી. આગળ જતાં બેડરૂમમાં બેડની નીચે આ ફૈઝઅહેમદ અને તેમની પત્ની મુબીનાબાનુ (ઉ.વ. ૩૭)ની લાશ પડી હતી. ત્રણેય નાઇટ ડ્રેસમાં જ હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હોઈ ઝેરી દવા ગટગટાવ્યાની આશંકાથી દોડધામ મચી ગઇ હતી. પોલીસે ઉતાવળે ફોરેન્સિક નિષ્ણાતોને તેડાવતાં મૃતકોના શરીરમાં કાર્બન મોનોક્સાઈડ મળી આવ્યું હતું.

બેડરૂમ અને કિચન એરિયાની વચ્ચે જ ગેસ ગિઝર હતું

જેમાંથી ગેસ ગળતર થવાને કારણે આ ત્રણેયનાં મોત નીપજ્યાનો પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો. પોલીસે આ ત્રણેયના મૃતદેહ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયા હતા. જેમાં પણ કાર્બન મોનોકસાઈડથી મોત નીપજ્યાની સંભાવના વ્યક્ત કરવામાં આવતાં પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં બેવડી ઋતુની અસર, બપોરના સમયે ગરમીનો અહેસાસ કરતા શહેરીજનો


  • Follow us on: