સુરત શહેરમાંથી ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરીને સુરત મહાનગરપાલિકાના એક લાંચિયા કર્મચારીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. સુરત મનપાના વરાછા ઝોનમાં આકારણી ક્લાર્ક તરીકે ફરજ બજાવતો રાકેશ વનમાળી એક સન્માનિત નાગરિક પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા પડાવતા એસીબીના સકંજામાં આવી ગયો છે.


વેરો રેસિડન્ટ તરીકે ચાલુ રાખવા માંગી હતી લાંચ

એક મિલકતનો ટેક્સ વ્યવસાયિક (કોમર્શિયલ) ને બદલે રહેણાંક (રેસિડન્ટ) તરીકે જ ચાલુ રાખવા માટે આકારણી ક્લાર્ક રાકેશ વનમાળીએ ફરિયાદી પાસે રૂ.3,500ની લાંચની માંગણી કરી હતી. જો આ લાંચ ન આપવામાં આવે તો મિલકત વેરો વધારી દેવાની ગર્ભિત ધમકી પણ આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે જાગૃત ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે તાત્કાલિક સુરત એસીબી ઓફિસનો સંપર્ક સાધીને આ ભ્રષ્ટાચારી કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

એસીબીએ છટકું ગોઠવી ભ્રષ્ટ ક્લાર્કને જેલભેગો કર્યો

ફરિયાદના આધારે એસીબીની ટીમે વ્યાપક આયોજન કરીને વરાછા ઝોનની કચેરી નજીક એક સફળ લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું. ફરિયાદી જ્યારે નિયત કરાયેલી રૂ.3,500ની લાંચની રોકડ રકમ આપવા પહોંચ્યા, ત્યારે ક્લાર્ક રાકેશ વનમાળીએ નફ્ફટાઈપૂર્વક લાંચની રકમ સ્વીકારી હતી. આ જ સમયે અગાઉથી જ વોચમાં ઉભેલી એસીબીના અધિકારીઓની ટીમે ત્રાટકીને આરોપી રાકેશને લાંચની સંપૂર્ણ રકમ સાથે રંગેહાથ દબોચી લીધો હતો. હાલમાં એસીબી દ્વારા આરોપી ક્લાર્ક વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: