સુરત શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે ‘વિશ્વ હાસ્ય દિવસ’ નિમિત્તે કિરણ હોસ્પિટલ દ્વારા આયોજિત ‘ભારત વડીલ વંદન’ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડીલોના સન્માન સાથે તેમના ચહેરા પર સ્મિત લાવવાના પ્રયાસને DyCM એ બિરદાવ્યો હતો.

હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનમાં કોઈએ ન આવવું પડે તેવી પ્રાર્થના

પોતાના વક્તવ્યમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “મને આજે વડીલોનો ઉત્સાહ જોઈને અલગ જ આનંદ થઈ રહ્યો છે. અમે જ્યારે પણ કોઈ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જઈએ ત્યારે એ જ પ્રાર્થના કરીએ છીએ કે કોઈએ હોસ્પિટલ કે પોલીસ સ્ટેશનના પગથિયાં ન ચઢવા પડે. અને જો કોઈ હોસ્પિટલમાં આવે, તો તે વહેલી તકે સાજો થઈને ઘરે પાછો જાય.” તેમણે નર્સ અને હોસ્પિટલ સ્ટાફની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે, જે વડીલોના સંતાનો પાસે નથી, તેમનું ધ્યાન આ સ્ટાફ પોતાના સંતાનની જેમ રાખી રહ્યો છે.

વૃદ્ધાશ્રમ એ સામાજિક દૂષણ: પોલીસ કરાવી રહી છે પરિવાર સાથે મિલન

નાયબ મુખ્યમંત્રીએ રાજ્યમાં વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા સામે લાલ આંખ કરતા કહ્યું કે, “અમે રાજ્યમાં નવા વૃદ્ધાશ્રમો ખોલવા નહીં દઈએ. આપણે સૌએ માતા-પિતા અને સંતાનોએ સાથે રહેવું જોઈએ.” તેમણે ઉમેર્યું કે છેલ્લા ચાર વર્ષથી ગુજરાત પોલીસ એવા વડીલોને શોધી રહી છે જેઓ વૃદ્ધાશ્રમમાં છે અને તેમને તેમના પરિવાર કે દીકરીઓ સાથે મિલાવવાનું ઉમદા કાર્ય કરી રહી છે. તેમણે વડીલોને મોબાઈલ જેવા સામાજિક દૂષણથી દૂર રહેવા અને વહુઓને ટોણા મારવાને બદલે પ્રેમથી મંદિરે લઈ જવા રમૂજી લહેકામાં અપીલ કરી હતી.

ઝારખંડના વડીલ હવે બની ગયા ‘સુરતી’

સંઘવીએ એક કિસ્સો શેર કરતા કહ્યું કે, તાજેતરમાં ઝારખંડના એક વડીલ તેમને મળવા આવ્યા હતા. જેઓ બે વર્ષ પહેલા સુરતમાં સારવાર માટે આવ્યા હતા, તે આજે સુરતની આબોહવામાં એટલા સાજા થઈ ગયા છે કે મારા કરતા પણ વધુ ફિટ દેખાય છે અને હવે તેઓ પૂર્ણપણે ‘સુરતી’ બની ગયા છે. તેમણે ઉપસ્થિત વડીલોને વિનંતી કરી હતી કે તેઓ સમાજના યુવાનોને બ્લડ ડોનેશન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરે, જેથી વડીલોના આશીર્વાદ અને યુવાનોની શક્તિથી રાજ્ય વધુ મજબૂત બને.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો