સુરત શહેર પોલીસની પીસીબી (PCB) શાખાએ એક સરાહનીય કામગીરી કરતા છેલ્લા આઠ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા હત્યાના આરોપીને મહારાષ્ટ્રના બારામતી ખાતેથી દબોચી લીધો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં વર્ષ 2018માં થયેલી એક હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી સુનીલ કિશોર પ્રસાદ પોલીસ પકડથી દૂર હતો, જેને ઝડપી પાડવા માટે ₹10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.


પોલાસે આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો

વર્ષ 2018માં આરોપી સુનીલ કિશોર પ્રસાદે અંગત અદાવત રાખીને વિનોદ યાદવ નામના વ્યક્તિની કરપીણ હત્યા કરી હતી. આ લોહિયાળ ઘટના બાદ આરોપી ધરપકડથી બચવા માટે ગુજરાત છોડી મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મહારાષ્ટ્રના બારામતી MIDC વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવીને મજૂરી કામ કરી રહ્યો છે. આ બાતમીના આધારે સુરત પીસીબીની ટીમે ઓપરેશન પાર પાડી તેને ઝડપી લીધો હતો.

આરોપી બારામતી MIDCમાં કરતો હતો મજૂરી કામ

આરોપી લાંબા સમયથી નાસતો-ફરતો હોવાથી પોલીસ માટે તેને પકડવો એક પડકાર હતો. સુરત પીસીબી પોલીસે આરોપીની કાયદેસરની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી માટે તેને ભાવનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીથી ગંભીર ગુના આચરીને બીજા રાજ્યોમાં છુપાઈ જનારા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. 8 વર્ષ જૂના વણઉકેલાયેલા કેસમાં આરોપીની ધરપકડ થતા મૃતકના પરિવારને ન્યાય મળવાની આશા જાગી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: