ઓલપાડ જીન કેમ્પસ ખાતેની ધી સોંસક ગ્રુપ કો.ઓ,કોટન સેલ સોસાયટીની રવિવારે મળેલી 105મી વાર્ષિક સામાન્ય સભા તોફાની બની હતી. આ સભામાં મંડળીના મેનેજર સહિત 3 કર્મચારીઓએ કરેલા રૂા.58 લાખના નાણાંકીય ઉચાપતના કૌભાંડ મામલે મંડળીના સસ્પેન્ડ બોર્ડ અને કસ્ટોડીયન બોર્ડે ચુકવેલા વકીલને ચૂકવેલી ફી 15,65,500નો ખર્ચ મંજૂર કરાવવા મામલે સામ-સામે આવી આક્ષેપો કરતા મામલો ગરમાયો હતો.આ ફીની રકમ મંડળીના ચાલુ હિસાબી વર્ષના સરવૈયામાં ખર્ચ રકમ બતાવવાના બદલે આ રકમ અનામત લેણાં તરીકે દર્શાવતા ગમે ત્યારે આ રકમ સસ્પેન્ડ ર્બોડ પાસે વસુલી શકાય તેવી જોગવાઇ કરી હતી. જ્યારે આ કૌભાંડ મામલે મંડળીની સરકારી કસ્ટોડિયન બોર્ડે વકીલને ચુકવેલ રૂા.5.68 લાખની રકમનો ખર્ચ હિસાબી સરવૈયામાં દર્શાવતા મંડળીની સસ્પેન્ડ બોર્ડના ડિરેક્ટરોએ ભારે હોબાળો મચાવતા સભા તોફાની બની હતી. જો કે આ સભાના પ્રમુખ અને ધી પુરૂષોત્તમ ફાર્મર્સ મંડળીના ચેરમેન મનહરભાઇ કે.પટેલે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થ બની વકીલનો ખર્ચ હાલમાં હાઇકોર્ટમાં ચાલતા આ કેસમાં કોર્ટ જે બોર્ડની જવાબદારી નક્કી કરે તે બોર્ડે ભોગવવાનો નિર્ણય કરતા મંડળીના હિસાબો વાંધા સહિત શરતી મંજૂર કરાતા મામલો થાળે પડયો હતો. જો કે આ સભામાં મંડળીમાંથી સસ્પેન્ડ થયેલા પ્રમુખ અને સમુલના માજી ડિરેક્ટર જયેશ પટેલ (દેલાડ) સભામાં ફરક્યા ન હતા.જેના પગલે સભાસદોના મનમાં અનેક તર્ક-વિર્તકોનું વંટોળ ફેલાયું હતું.
આ સભામાં મંડળીના સસ્પેન્ડ ઉપપ્રમુખ અજીત પટેલ, ડિરેક્ટર સંકેત પટેલ અને મનોજ પટેલે બળાપો કર્યો હતો કે,જ્યારે અમારી અગાઉની બોર્ડમાં પ્રમુખ અશોકભાઈ પટેલ હતા અને ત્યાર પછીના દોઢ વર્ષ દરમ્યાન જયેશ નટવરભાઈ પટેલ (દેલાડ) હતા, ત્યારે અમોએ ઈસનપોરના ગણપતભાઈ પાસે મંડળીનું ઓડિટ કરાવ્યું હતું.તે સમયે પણ ઓડિટમાં કર્મચારીઓની આ ચોરી પકડાય ન હતી. પરંતુ ત્યારબાદ અમોએ નિગરાની રાખી રૂા.58 લાખની ચોરી પકડી હતી અને આ રકમ વસુલાત માટે વકીલ ખર્ચ પેટે આ ફી ચુકવેલ છે.આ સમયે અમારી બોર્ડે રકમ વસુલાત માટે પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.જેથી અમારી બોર્ડે કરેલો વકીલ ખર્ચ પણ હિસાબી સરવૈયામાં મંજૂર કરવા અમારી માંગણી છે. આ ઉપરાંત વકીલ ફી પેટે કરેલ ખર્ચની રકમ વસુલાત માટે અમારી જુની બોર્ડ સામે પોલીસ ફરિયાદ ન કરવા પણ અમારી માંગ છે. જો કે સભામાં હિસાબ મંજૂર કરવાનો વિવાદ વધુ વકરતા સભાના અધ્યક્ષ મનહરભાઇ પેટેલે કમાન હાથમાં લઇ મધ્યસ્થી કરણની ભૂમિકા ભજવીને મામલો થાળે પડયો હતો, આ સભામાં જુની બોર્ડના ડિરેક્ટરોએ સભાસદોને કરેલા ધિરાણ અને મુદત વીતી બાકીદારો પાસે વસુલાત કામગીરી સહિતના વિવધ પ્રશ્નો મામલે ખુલાસો કરવાની માંગ કરતા કસ્ટોડિયન પ્રમુખ કિરીટભાઇ પટેલે સંતોષકારક જવાબ આપી કહ્યું હતું કે,વર્ષઃ2021 થી 2025 દરમિયાન સંસ્થાના ખેડૂત ખાતેદારોના ખાતામાં મંડળીના મેનેજરે ખોટાં ધિરાણ ઉધારી ગેરરીતિ આચરેલ આ કથિત કૌભાંડમાં આશરે રૂપિયા 48 લાખની વસુલાત કરવાની હજુ બાકી છે.
