સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ત્રણ મુખ્ય ટીપી સ્કીમો (TP 49, 50 અને 51) માં રિઝર્વેશનને લઈને ચાલી રહેલો વિવાદ હવે મુખ્યમંત્રીના દરબારમાં પહોંચ્યો છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાને રાખીને સરકાર આ પેચીદા પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવા માંગતી હોય તેવું જણાઈ રહ્યું છે. આ સંદર્ભે સુરતના મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને તાકીદે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે.
કતારગામ ટીપી સ્કીમનો વિવાદ
કતારગામ ઝોનમાં મંજૂર થયેલી પ્રિલિમનરી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 માં અનેક વિસંગતતાઓ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. વર્ષો જૂની સોસાયટીઓના મકાનો, વાડીઓ અને સીઓપી (COP) પર રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યું છે. રિઝર્વેશનના કારણે સ્થાનિક રહીશો પોતાની મહેનતની કમાણીથી બનાવેલા મકાનો ગુમાવે તેવી ભીતિ સર્જાઈ છે. છેલ્લા ઘણા સમયથી પ્રભાવિત લોકો રિઝર્વેશન ઉઠાવવાની માંગ સાથે વિવિધ સ્તરે રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
શેઠની શીખામણ ઝાંપા સુધી
બેઠક દરમિયાન હર્ષ સંઘવીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે લાલ આંખ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કેકોઈ પણ મનપાની નાની-મોટી ફરિયાદ છેક ગાંધીનગર સુધી પહોંચવી જોઈએ નહીં, તેનો ઉકેલ સ્થાનિક સ્તરે જ આવવો જોઈએ.છતાં પણ કતારગામની ફરિયાદો સરકાર સુધી પહોંચતા તેમણે "શેઠની શીખામણ ઝાંપા સુધી" કહેવત ટાંકીને તંત્રની શિથિલતા પર પ્રહારો કર્યા હતા.
પદયાત્રાના પડઘા દિલ્હી સુધી
તાજેતરમાં જ કતારગામ દરવાજાથી પાલિકાની મુખ્ય કચેરી સુધી વિશાળ પદયાત્રા કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ આંદોલનની તીવ્રતા એટલી હતી કે તેના પડઘા છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા. ચૂંટણીના વર્ષમાં આ વિરોધ શાસક પક્ષ માટે મોટો પડકાર બની શકે તેમ હોવાથી, બંને પદાધિકારીઓએ ગાંધીનગરના સંબંધિત વિભાગો સાથે બેસીને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવાની કસરત શરૂ કરી છે.
આ પણ વાંચો: Surat: જાહેર આરોગ્ય મુદ્દે તંત્ર સજ્જ, ફૂડ વિભાગે હવે દરરોજની કામગીરીનો રિપોર્ટ કમિશનરને સોંપવો પડશે