વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલી સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત પાછળના રહસ્ય પરથી આખરે પોણા બે વર્ષ બાદ પડદો ઉંચકાયો છે. પૂર્વ કોંગ્રેસી નેતા નિલેશ કુંભાણીની રાજુલા સ્થિત 'સરદાર સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ' પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની મુલાકાતે રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે.
2024માં મુકેશ દલાલ બિનહરીફ જીતમાં ખુલાસો
આ મુલાકાત બાદ એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, નિલેશ કુંભાણીએ લોકસભા ચૂંટણી સમયે ફોર્મ ભરતી વખતે જાણીજોઈને ટેકેદારોની ખોટી સહીઓ કરી હતી. આ ભૂલને કારણે તેમનું ફોર્મ રદ થયું હતું અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પોણા બે વર્ષ બાદ આ ઘટનાક્રમ પાછળ કુંભાણી અને ભાજપ વચ્ચેની કથિત 'ગોઠવણ' હવે સ્પષ્ટ દેખાઈ રહી છે.










