સુરેન્દ્રનગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા ભૂ-માફિયાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. થાનગઢના ભાડુકા ગામે ગઈકાલે જમીન માપણીની કામગીરી માટે ગયેલી મામલતદારની ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેના પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું.


ભૂ-માફિયાના ગેરકાયદે બાંધકામ તોડી પડ્યા

મામલતદારની ટીમ પર હુમલો કરનાર મુખ્ય આરોપીઓ ભરત રમેશ અલગોતર, જયપાલ રમેશ અલગોતર, અને રવિ ઉગા પરમાર સામે ગુનો નોંધીને તેમની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.વહીવટી તંત્રએ આ ભૂ-માફિયાઓના ગેરકાયદેસર બાંધકામોને નિશાન બનાવ્યા હતા. જેમાં ભરત અલગોતર અને જયપાલ અલગોતરના બાંધકામો તેમજ રવિ પરમારના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે.

મામલતદારની ટીમ પર હુમલો કર્યો હતો

થાનગઢના ભાડુકા ગામે આવેલું વ્રજ ફાર્મ પણ તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જે ભૂ-માફિયાઓની મિલકત હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, તેમના બે જેટલા વેબ્રિજ અને મકાનો પણ તોડવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે.ચોટીલાના ડેપ્યુટી કલેકટર, મામલતદાર તેમજ પોલીસ સ્ટાફની મોટી સંખ્યામાં હાજરીમાં આ ગેરકાયદેસર મિલકતો તોડી પાડવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સરકારી કર્મચારી પર હુમલો કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં, તેવો સ્પષ્ટ સંદેશો આ કાર્યવાહી દ્વારા આપવામાં આવ્યો છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: