સુરેન્દ્રનગર । (બ્યુરો)
ચોટીલા તાલુકાના પીપરાળી ગામે વર્ષ 2025માં હત્યાનો બનાવ બન્યો હતો. જેનો આરોપી સુરેન્દ્રનગર સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. ત્યારે છેલ્લા 20 દિવસથી બીમાર રહેતા આરોપીની મંગળવારે સવારે તબીયત લથડતા સારવાર માટે દવાખાને લઈ જવાતા કુદરતી મોત થયુ છે.
ચોટીલા તાલુકાના પીપરાળી ગામે વર્ષ 2015 દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જેનો આરોપી વિપુલ વિનાભાઈ સાકરીયા જેલવાસ ભોગવતો હતો. અને વર્ષ 2024ના અંતમાં તે જેલમાંથી પેરોલ પર છુટયો હતો. ત્યારે તા. 3-1-25ના રોજ આ બનાવનો ખાર રાખી ભાવા બીજલભાઈ સાકરીયા, સુરેશ ભાવાભાઈ સાકરીયા, શાંતુબેન ભાવાભાઈ સાકરીયા, થોભણ મેરાભાઈ સાકરીયા અને લાલા નારાયણભાઈએ ટ્રેકટર લઈને પસાર થતા વિપુલ સાકરીયા પર ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં લોહી નીકળતી હાલતમાં વિપુલને ચોટીલા સરકારી દવાખાને લઈ જવાતા તેનું મોત થયુ હતુ.
આ બનાવમાં 28 વર્ષીય સુરેશ ભાવાભાઈ સાકરીયા હાલ સુરેન્દ્રનગર સબ જેલમાં જેલવાસ ભોગવી રહ્યો હતો. સુરેશ સાકરીયા છેલ્લા 20 દિવસથી બીમાર રહેતો હતો. અવારનવાર તેને જાપ્તા સાથે સારવાર માટે લઈ જવાતો હતો. ત્યારે તા. 1ના રોજ સવારે પણ તેની તબીયત લથડતા આશરે 10-45 કલાકે તેને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પીટલ સારવાર માટે લઈ જવાયો હતો. જેમાં સારવાર દરમીયાન તેનું મોત થયુ છે. બનાવની જાણ થતા એ ડીવીઝન પીઆઈ આર.એમ.સંગાડા, પીએસઆઈ એચ.એસ.જાડેજા સહિતનાઓ દોડી ગયા હતા. અને નાયબ કલેકટર એમ.જે.ભરવાડની હાજરીમાં ઈન્કવેસ્ટ પંચનામુ કરીને મૃતકની લાશને પીએમ માટે રાજકોટ લઈ જવાઈ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો