વર્ષ 2019થી 60 વર્ષથી ઉપરની વયના વરિષ્ઠ નાગરિકોએ કલબની સ્થાપના કરી યુવાનોને પણ અચંબીત કરે તેવી ક્રિકેટ મેચ રમી આપી રહ્યા છે અનોખો સંદેશ
સમગ્ર દેશમાં હાલ ક્રિકેટ ફીવર ચાલી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરની સિનીયર સિટીઝન ક્રિકેટ ટીમ પણ ડંકો વગાડી રહી છે. ફેબ્રુઆરીમાં જ મુંબઈમાં ચેમ્પીયન બન્યા બાદ અમદાવાદની ટુર્નામેન્ટમાં ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી અને રનર્સઅપ રહી હતી. 60 વર્ષની વય વટાવી ચૂકેલા ટીમના સભ્યો યુવાનોને પણ શરમાવે તેવુ ક્રિકેટ રમી ફીટ ઈન્ડિયાનો સંદેશ આપી રહ્યા છે.
વર્ષ 2019માં નિવૃતીની વયે પહોંચેલા વરિષ્ઠ નાગરિકોએ ક્રિકેટ કલબની સ્થાપના કરીને રમત રમવાની સાથે સાથે સામાજિક કાર્યોની શરૂઆત કરી હતી. કોરોનાના સમયે ફુડ પેકેટ, કપડા વિતરણ જેવા કાર્યો કલબ દ્વારા કરવામાં આવ્યા હતા. દર મહિને એક વાર કલબના 40થી વધુ સભ્યોનું ગેટ-ટુ-ગેધરીંગ થાય છે અને દરરોજ સાંજે 2 કલાક તેઓ ક્રિકેટ રમી આજના સમયમાં મોબાઈલમાં વળગ્યા રહેતા યુવાનોને મેદાનમાં ઉતરી ફીટ રહેવા શીખ આપે છે. આ સભ્યોની જય ઝાલાવાડ સિનીયર સિટીઝન ક્રિકેટ ટીમ છેલ્લા થોડા વર્ષોથી રાજય અને રાજય બહાર ડંકો વગાડી રહી છે. છેલ્લા પાંચેક વર્ષમાં તેઓએ 25થી વધુ ટુર્નામેન્ટોમાં ભાગ લઈ વિજેતા અને રનર્સઅપ તરીકે રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટની સુરેન્દ્રનગરની ટીમ ચેમ્પીયન બની હતી. ત્યારે સુરેન્દ્રનગરની સીનીયર સિટીઝન ક્રીકેટ ટીમે વધુ એક સીધ્ધી મેળવી છે. અમદાવાદના યુનીકોર્ન ક્રીકેટ કલબ ખાતે ઓલ ગુજરાત આમંત્રીત સીનીયર સીટીઝન ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ ચેલેન્જર કપ-2026નું આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ સીનીયર સીટીઝનની ક્રિકેટ ટીમ પ્રથમ લીગ મેચમાં કેપ્ટન જે.પી.રાણાની મેન ઓફ ધી મેચ બોલીંગ સાથે અમદાવાદ-1 ટીમ સામે વિજેતા બની હતી. જયારે બીજી લીગ મેચમાં લોહાણા સમાજ ઈલેવન સામે અશોકભાઈ રાવલના ઓલ રાઉન્ડ પ્રદર્શનથી ટીમે જીત મેળવી સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જયારે સેમી ફાઈનલમાં અમદાવાદ બીસીસી ટીમ સામે સુરેન્દ્રનગરના અશ્વીનસિંહ ઝાલાની 4 વિકેટની મદદથી ફાઈનલમાં પહોંચી હતી. જયારે ફાઈનલમાં રસાકસી બાદ એમસીસી બરોડા સામે સુરેન્દ્રનગરની ટીમ હારી જતા રનર્સઅપ રહી હતી. સુરેન્દ્રનગરની ટીમના સુકાની જે.પી.રાણાએ ફાઈનલમાં ચાર વિકેટ મેળવી બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટનો ખીતાબ પણ મેળવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/maru-saher-maru-gaam