ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક અત્યંત કરૂણ અને ગંભીર ઘટના સામે આવી છે. 45 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા એસટી બસના ડ્રાઈવરનું હીટસ્ટ્રોકને કારણે મોત થયું છે. જોકે, મોત પહેલા ડ્રાઈવરે દાખવેલી સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે, અને બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

સમયસૂચકતાએ મુસાફરોના જીવ બચાવ્યા

સુરેન્દ્રનગર ડેપોના ડ્રાઈવર રામદેવસિંહ પરમાર સુરેન્દ્રનગર-રાવળિયાવદર રૂટની બસ લઈને જઈ રહ્યા હતા. રાજસીતાપુર નજીક પહોંચતા જ અચાનક તેઓની તબિયત લથડી હતી. કાળઝાળ ગરમીને કારણે તેઓને હીટસ્ટ્રોક (લૂ લાગવી) જેવી અસર થઈ હતી. પોતાની સ્થિતિ બગડતી જોઈ રામદેવસિંહે તાત્કાલિક બસને રસ્તાની સાઈડમાં સુરક્ષિત રીતે ઉભી રાખી દીધી હતી. જો તેમણે બસ ઉભી ન રાખી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

હોસ્પિટલમાં દમ તોડ્યો

ડ્રાઈવરની તબિયત ખરાબ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેઓનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે એસટી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બસમાં સવાર મુસાફરોને અન્ય બસ દ્વારા રાવળિયાવદર તરફ રવાના કરવામાં આવ્યા હતા.

45 ડિગ્રી તાપમાનનો કહેર

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને ગરમ લૂના કારણે લોકો પરેશાન છે. આ આકરી ગરમીમાં ફરજ બજાવતા ડ્રાઈવરના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો - Surendranagar News: તલસાણાના સોલર પ્લાન્ટમાં ચોરી કરનાર ગેડિયા ગેંગનો કુખ્યાત ગુજસીટોકનો આરોપી ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત