થાનગઢ : થાનગઢ તાલુકામાં સરોડી ગામ આશરે 11 કિલોમીટર દૂર અને વાંકાનેર તાલુકાની બોર્ડર નજીક આવેલું છે. સરોડીના ગ્રામજનો અવરજવર માટેના મુખ્ય માર્ગ પરનો બેઠો પુલ થોડા દિવસો પૂર્વેના ભારે વરસાદ બાદ હજુય પાણીમાં ગરકાવ રહેતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. થાનગઢ તાલુકાનું છેલ્લું ગામ ગણાતા સરોડીના લોકોનો રોજિંદો વ્યવહાર મોટાભાગે વાંકાનેર સાથે જોડાયેલો છે. સરોડીથી મેસરિયા, શેખરડી અને ચાચડીયા તરફ્ જવા તેમજ ત્યાંથી વાંકાનેર પહોંચવા માટેનો મુખ્ય માર્ગ વરસાદી પાણીના કારણે ધોવાઈ ગયો છે. તેમજ બેઠો પુલ પણ વરસાદી પાણીમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર અને ગ્રામજનોની અવરજવર મુશ્કેલ બની છે. પુલ બંધ થતાં સરોડી સહિત આસપાસના ગામોના લોકોને વાંકાનેર ખેતીના કામકાજ, હાટ-બજારમાં ખરીદી તેમજ અન્ય જરૂરી કામો માટે જવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે તાલુકા પંચાયતના સદસ્ય કિશનભાઈ ચાવડાએ તાલુકા પંચાયતમાં લેખિત રજૂઆત કરી બેઠા પુલનું તાત્કાલિક સમારકામ કરાવવા માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો