ખેડૂતોને ચોમાસામાં ઓછા વરસાદ,કમોસમી વરસાદ કે ભારે વરસાદના કારણે કપાસ સહિતના પાકમાં ભારે નુકશાની ભોગવવાનો વારો આવે છે. ત્યારે હાલ ઝાલાવાડના ખેડૂતો દાડમ અને ખારેક સહિતના બાગાયતી પાકના વાવેતર તરફ વળતા સારી એવી આવક મેળવી રહયા છે.પાટડીના માલવણ ટોલપ્લાઝા પાસે અકબરભાઇ કાસમભાઇ મોમીને વીસ એકર જમીનમાં ટીશ્યુ કલ્ચર ખેતીથી રાસાયણીક ખાતર દવા વગર દેશી પધ્ધતીથી ખારેકનું વાવતેર કર્યુ હતુ.આ જગ્યામાં વર્ષે પાંચ લાખ રૂપીયાની આવક નહોતી આવતી. પરંતુ બાગાયતી ખેતી કરી ખારેકનું વાવેતર કરતા અત્યારે ખેડૂતને વર્ષે 25 લાખ રૂપીયાની આવક થાય છે. આમ રાસાયણીક દવા ખાતર વગર કે વધારે મહેનત વગર ખારેકની ખેતીમાં સારુ એવુ ઉત્પાદન આવતુ હોવાથી અન્ય ખેડૂતોને પણ ખારેક જેવા પાકનું વાવેતર કરવાની પ્રેરણા આપી જાય છે. ખેડૂત અકબરભાઇએ જણાવેલ કે કપાસના પાકમાં દવા અને બિયારણ સાથે મજુરી પણ વધારે થાય છે અને ચોમાસામાં પણ જોખમ રહે છે પરંતુ ખારેકમાં દેશી પધ્ધથી વાવેતર કર્યુ હોવાથી ખર્ચ અને મજુરી તો ઓછી થાય. પરંતુ જોખમ પણ રહેતુ નથી. જેથી આ વિસ્તારમાં ખારેકનું વાવતેર ખેડૂતોએ કરવુ જોઇએ.
