સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા અદાલત તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં તા. 15 માર્ચના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચેક રીર્ટનના કેસો, ભરણપોષણના કેસો, ફેમીલી કેસો, જમીન વળતરના કેસો, મજૂર કાયદાને લગતા કેસો, મહેસુલી તકરારના કેસો, ટ્રાફીક ભંગના ઈ-મેમાના કેસો સહિતના 10,184 કેસો મુકાયા હતા. આ કેસોમાંથી અંદાજે 98.23 ટકા એટલે કે, 10,004 કેસોનો નિકાલ કરાયો હતો. અને 16,40,50,425 રૂપીયાના સેટલમેન્ટ થયા હતા.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા અદાલત તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં તા. 15 માર્ચના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પ્રમુખ અને ડીસ્ટ્રીકટ જજ કે.આર.ઉપાધ્યાય, એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહ, જે.વી.પટેલ અને કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.જી.મન્સુરી સહિતનાઓની હાજરીમાં આ લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, મોટર એક્સીડન્ટ કલેઇમ પીટીશન, નેગોશીયેબલ ઇન્સ્ટ્રમેન્ટ એક્ટની કલમ 138ના ચેક રીર્ટનના કેસો, ભરણપોષણના કેસો, ફેમીલી કેસો, જમીન વળતરના કેસો, મજૂર કાયદાને લગતા કેસો, મહેસુલી તકરારના કેસો, વીજ તથા પાણી બિલ(ચોરી સિવાય)ના કેસો, ભાડાના, બેન્ક વસૂલાત, સુખાધિકાર હક્ક, મનાઇ હુકમ, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો, અન્ય પ્રકારના સમાધાન લાયક 10,184 કેસો મુકવામાં આવ્યા હતા. આ કેસોમાંથી પ્રિલીટીગેશનના 5,951 કેસોમાંથી 5,899નો નિકાલ થયો હતો. જેમાં રૂપીયા 2,86,99,003ની રકમના સમાધાન થયા હતા. જયારે 1040 પેન્ડિંગ કેસોમાંથી 13,53,51,422ની રકમના સેટલમેન્ટ થકી 983 કેસો ડીસ્પોઝ કરાયા હતા. બીજી તરફ સ્પેશ્યલ સિટીંગના 3,039માંથી 3,017 કેસોનો નિકાલ કરાયો હતો. જયારે ફેમિલી કોર્ટમાં હાથ પર લેવાયેલા 154માંથી 105 કેસનો નિકાલ કરાયો હતો. લોક અદાલતમાં બેંક, વીજ કંપની, વીમા કંપની સાથેના કેસોમાં સમાધાનકારક વલણ અપનાવી રકમની વસુલાત કરી કેસોનો નીકાલ કરાયો હતો.










