સાયલાના નાગડકા ગામે આવેલ મકાન મુળ નાગડકાના અને હાલ અમદાવાદ રહેતા યુવાને 1.60 લાખમાં કૌટુંબીક દાદા પાસેથી ખરીદ્યુ હતુ.


બાદમાં દાદાએ મકાનનો કબજો ન આપી પરત ખરીદી કરવાની વાત કરતા 1.75 લાખમાં વેચાણનું નક્કી થયુ હતુ. બન્ને સમયે નોટરી સમક્ષ થયેલ કરારનો ભંગ કરી નાણા ન ચુકવી છેતરપિંડી આચર્યાની કૌટુંબીક દાદા સામે ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મુળ સાયલા તાલુકાના નાગડકા ગામના 37 વર્ષીય અલ્પેશભાઈ ભીખાભાઈ વાઘેલા હાલ અમદાવાદના જમાલપુરમાં રહે છે અને રિક્ષા ચલાવે છે. વતન નાગડકામાં તેમના કૌટુંબીક દાદા સોમાભાઈ રામજીભાઈ વાઘેલાનું મકાન આવેલુ છે. આ મકાન અલ્પેશભાઈએ રૂપીયા 1.60 લાખમાં લેવાનું નક્કી કર્યુ હતુ. અને તા. 7-7-22ના રોજ તેનું નોટરી સમક્ષ લખાણ કરી અલ્પેશભાઈએ રૂપીયા 1.60 લાખ ચુકવ્યા હતા. જેમાં નવરાત્રી સમયે સોમાભાઈએ મકાન ખાલી કરી દેવાની શરત હતી. પરંતુ નવરાત્રી વીતતા અલ્પેશભાઈએ મકાન ખાલી કરવાનું કહેતા સોમાભાઈએ ના પાડી હતી અને પૈસા થશે ત્યારે પરત આપીશ તેમ જણાવ્યુ હતુ. બાદમાં અલ્પેશભાઈએ અવાનવાર પૈસાની ઉઘરાણી કરી હતી.

તા. 8-11-23ના રોજ સોમાભાઈએ ફોન કરીને અલ્પેશભાઈને બોલાવતા તા. 9-11-23ના રોજ તેઓ નાગડકા ગયા હતા. જેમાં સોમાભાઈએ મકાન પાછુ ખરીદવાની વાત કરતા અલ્પેશભાઈએ બજાર કિંમત રૂપીયા 1.75 લાખ કહી હતી. જેમાં સોમાભાઈ સહમત થતા નોટરી પાસે લખાણ કરી 2 વર્ષમાં કટકે કટકે આ રકમ સોમાભાઈઅ ચુકવશે તેવુ નક્કી થયુ હતુ. પરંતુ આ મુદત પણ પુરી થવા છતાં સોમાભાઈએ પૈસા ન ચુકવતા કરારમાં નક્કી થયેલ શરતોનો ભંગ કરી છેતરપિંડી આચર્યાની અલ્પેશભાઈએ કૌટુંબીક દાદા સોમાભાઈ વાઘેલા સામે ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: