વઢવાણની સીમમાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય દ્વારા પોતાના ખેતરની જમીનમાંથી વીજ લાઇન નહીં કાઢવા દેવા કે વધારે વળતર મેળવવા માટે પોતાનું નામ કઢાવી નાખ્યાનો ખુલાસો થતા ખેડૂતો હવે આકરા પાણીએ લડી લેવાના મુડમાં દેખાઇ રહયા છે અને ધ્રાંગધ્રાનું નામ બાકાત ના રહે અને એમના જેટલું જ વળતર બીજા ખેડૂતોને મળે એવી માંગ કરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધારાસભ્ય કે નેતાઓ લોકો કે ખેડૂતોની સેવા કરવાના બદલે પોતાની જમીન અને ફાઇલો કલીયર કરાવવા માટે જ ગાંધીનગર અને સરકારી કચેરીઓમાં દોડધામ કરતા હોય છે.ત્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાની વઢવાણની જમીનમાંથી વિજલાઇન પસાર થતી બચાવવા માટે સતાનો કરેલો દુરઉપયોગ સામે આવ્યો છે. હવે ખેડૂતો પણ આકરા પાણીએ લડી લેવાના મુડમાં દેખાઇ રહયા છે કારણ ધારાસભ્ય હોય તો એના ખેતરમાંથી વીજ લાઇન નહી કાઢવાની, નામ કાઢી નાખવાનું કે વળતર વધારે ચૂકવવાનું એવો નિયમ વરમોરા માટે હોય તો એની સામે ખેડૂતોએ ખુલ્લો વાંધો દર્શાવ્યો હતો. સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતો એક જ માંગ કરી રહયા છે કે ખેડૂતોની જમીનમાંથી તો લાઇન કાઢવાના જ છે તો ધારાસભ્યની નોટીસ નીકળી હતી તો એમનું નોટીસમાંથી બાકાત થયેલુ નામ ફરીથી આવે અને જમીન બિનખેતી કરાવેલી છે તો એમને બિનખેતી જમીનનું વળતર મળે તો ખેડૂતોની જમીન પણ બિનખેતી કરી આપે અને ખેડૂતોને પણ બિનખેતીનું વળતર ચુકવાય એવી ખેડૂતો માંગ કરી રહયા છે. આમ ધારાસભ્ય વરમોરાએ પોતાના ખેતરમાંથી વીજ લાઇન કાઢવા માટેનો પેતરો સામે આવતા હવે સમગ્ર વિસ્તારના ખેડૂતો એકજૂટ થઇ વીજ લાઇન પસાર થતી હોય એવા ખેડૂતોને પણ ન્યાય અપાવવાની માંગ કરી રહયા છે.










