ચોટીલાના આણંદપુર (ભા) ગામે આવેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની નાયબ કલેકટરે ઓચીંતી મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પીટલમાં ગંભીર ક્ષતીઓ ધ્યાને આવતા જવાબદારોના ખુલાસા પુછવામાં આવ્યા છે. ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ ચોટીલા તાલુકાના આણંદપુર (ભા) ગામે આવેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી હતી. જેમાં હોસ્પીટલના જુનીયર ફાર્માસીસ્ટ એમ.બી.ઝાલા પુર્વ મંજુરી વિના ગેરહાજર હોવાનું સામે આવ્યુ હતુ. આ ઉપરાંત હોસ્પીટલમાં દર્દીઓના કેસ પેપર નીયમીત તૈયાર થતા ન હતા. ચોમાસાની ઋતુમાં જરૂરી એવી સાપ કરડવાથી આપવામાં આવતી દવા ઉપલબ્ધ ન હતી. હોસ્પીટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતો હતો. જયારે દવાઓનું યોગ્ય વર્ગીકરણ કરી ગોઠવણ કરાઈ ન હતી. આ ઉપરાંત ડ્રગ સ્ટોર રૂમમાં જરૂરી રજીસ્ટર નીભાવાતુ ન હતુ. આશા કાર્યકરોને આપવામાં આવતી દવાઓની કોઈ નોંધપોથી ન હતી. ડીપ ફ્રીઝરની લોગબુકમાં તા. 10 જુલાઈ બાદ કોઈ નોંધ જ ન હતી. આથી હોસ્પીટલમાં આવી ગંભીર બેદરકારીને ધ્યાને લઈ ચોટીલા તાલુકા હેલ્થ ઓફસર, સબંધીત ફાર્માસીસ્ટ અને જવાબદાર અધીકારી-કર્મચારીઓનો ખુલાસો લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
