કાર્યક્રમ બપોરે ૩-૩૦ કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ, સુરેન્દ્રનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તથા વિવિધ વિભાગોના કુલ રૂ.૫૩૯.૨૬ કરોડના ખર્ચે તૈયાર થનારા અને પૂર્ણ થયેલા કુલ ૩૩ જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓમાં મોટો વધારો થશે

આ અવસરે વિવિધ વિભાગો હેઠળના પ્રકલ્પોમાં મુખ્યત્વે રૂ. ૪૫૭.૨૧ કરોડના ખર્ચે ૨૫ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ.૨૩૩.૩૪ કરોડના ૨૩ કામો તથા માર્ગ અને મકાન વિભાગના રૂ.૨૨૩.૮૭ કરોડના ૨ મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. આ વિકાસ કાર્યોથી સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓમાં મોટો વધારો થશે. લોકાર્પણની વિગતો જોઈએ તો, કુલ રૂ.૮૨.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૮ જેટલા પ્રકલ્પો જનતા માટે ખુલ્લા મુકવામાં આવશે.

ધારાસભ્યો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે

આ પ્રકલ્પોમાં શહેરી વિકાસ વિભાગના રૂ.૬૩.૧૭ કરોડના ૫ કામો અને પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ વિભાગના રૂ.૧૮.૮૮ કરોડના ૩ કામોનો સમાવેશ થાય છે. શિક્ષણ વિભાગના આ પ્રકલ્પોથી જિલ્લાના શૈક્ષણિક માળખાને નવી ઉર્જા પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં નાણા અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા તથા શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, સંસદસભ્ય ચંદુભાઈ શિહોરા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને સર્વે ધારાસભ્યો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.


આ પણ વાંચો : Gandhinagar News : ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો સંપૂર્ણ રાજય સન્માન સાથે શ્રીલંકા પહોંચ્યા