સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે તા. 19મીથી તા. 21મી દરમિયાન સશકત નારી મેળાનું આયોજન કરાયુ છે. જેમાં ગૃહ ઉદ્યોગ, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ, આધુનીક ઉત્પાદનો, અન્ય ગુણવત્તાસભર સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણના 50 સ્ટોલ બનાવાયા છે. શુક્રવારે મેળાનું ઉદ્દઘાટન કરાયુ હતુ.
પીએમ નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરવા માટે મહિલાઓને આર્થીક અને સામાજીક રીતે સશકત બનાવવાના ઉદ્દેશથી રાજયના દરેક જિલ્લામાં જિલ્લા સ્તરના સશકત નારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ અંતર્ગત મહિલાઓના નેતૃત્વ વિકાસને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે તા. 19 થી 21 ડિસેમ્બર એમ ત્રિ-દિવસીય સશકત નારી મેળાનું આયોજન શહેરના મેળાના મેદાનમાં કરાયુ છે. તા. 19ને શુક્રવારે જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ડીડીઓ કે.એસ.યાજ્ઞીક, ધારાસભ્યો પી.કે.પરમાર, કિરીટસિંહ રાણા સહિતનાઓના હસ્તે સશકત નારી મેળાને ખુલ્લો મુકાયો છે. મેળામાં મહિલાઓના કૌશલ્ય, સર્જનાત્મકતા અને ઉદ્યોગ સાહસીકતાને પ્રદર્શીત કરવા માટે મહિલાઓને સુવર્ણ અવસર મળશે. આ મેળામાં ગૃહ ઉદ્યોગ, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ, આધુનીક ઉત્પાદનો સ્વદેશી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરાશે. ઉદ્દઘાટન બાદ મહાનુભવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલાઓને પ્રોત્સાહીત કરી હતી.










