વઢવાણની ઉમિયા ટાઉનશીપમાં તા. 13મીના રોજ મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં કોન્ટ્રાકટર સહિત 3 રહેણાક મકાનોમાં ચોરી થયાની સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નિશાચરો ત્રણેય મકાનોમાંથી રોકડ, સોના-ચાંદીના ઘરેણા, બાઈક મળી રૂ. 4.84,600ની મત્તા ચોરી કરી લઈ ગયા છે. બનાવની ફરિયાદ નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં તાજેતરમાં જ ચોરીની વારદાત સામે આવી હતી. ત્યારે વઢવાણના નવા 80 ફુટ રોડ પર આવેલ ઉમીયા ટાઉનશીપ-1માં એક સાથે 3 મકાનોમાં તસ્કરો ખાબકયા હતા. મળતી માહીતી મુજબ મુળ વઢવાણ તાલુકાના વાડલા ગામના 29 વર્ષીય ભરતભાઈ કરશનભાઈ પરમાર પરીવાર સાથે ઉમીયા ટાઉનશીપ-1માં રહે છે. 18 દિવસ પહેલા જ તેમના પત્નીને પ્રસુતી આવી હતી અને પુત્રનો જન્મ થયો હતો. સુરેન્દ્રનગર કોઈ દેખરેખ રાખવાવાળુ ન હોય તેઓ પરીવાર સાથે વતન વાડલા રહેતા હતા. અને કન્સ્ટ્રકશનના કામ માટે દરરોજ સુરેન્દ્રનગર આવતા હતા અને સાંજે પરત વાડલા જતા હતા. તા. 13-3ના રોજ તેઓ સાંજે નીત્યક્રમ મુજબ વાડલા ગયા હતા. તા. 14-3ના રોજ સવારે 9-00 કલાકે તેમના પડોશીએ ફોન કરી તેમના ઘરના બારણા ખુલ્લા હોવાનું જણાવતા ભરતભાઈ તુરંત ઉમીયા ટાઉનશીપમાં દોડી ગયા હતા. જયાં તપાસ કરતા ઘરના દરવાજાનો નકુચો તુટેલો હતો. અને ઘરમાં તીજોરી ખુલ્લી હતી, પેટી પલંગ ખુલ્લો હતો અને બન્નેનો સામાન ઘરમાં અસ્તવ્યસ્ત પડયો હતો. જયારે તપાસ કરતા તસ્કરો ઘરમાંથી રોકડા રૂ. 2.10 લાખ, રૂ. 1.83 લાખના સોનાના દાગીના અને 26,600ના ચાંદીના આભુષણો મળી રૂ. 4,19,600ની મત્તા ચોરી કરી લઈ ગયા હતા. આ સમયે જ તેમની સોસાયટીમાં રહેતા વાલજીભાઈના રહેણાક મકાનમાંથી 40 હજારનું બાઈક અને શીલ્પાબેનના ઘરેથી રોકડા રૂપીયા 25 હજાર ચોરાયાની જાણ થઈ હતી. આ અંગે ભરતભાઈ પરમારે તા. 14મીના રોજ મોડી સાંજે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ત્રણેય ઘરેથી રૂપીયા 4,84,600ની મત્તા ચોરી કરી લઈ ગયાની અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ બી ડીવીઝન પીઆઈ એમ.એચ.પઠાણ ચલાવી રહ્યા છે.