સુરેન્દ્રનગર । (બ્યુરો)
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં ખેડુત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. મૂળી એપીએમસીની ચૂંટણીમાં આજે તા. 2-9ના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતીમ દિવસ રહેલો છે. જયારે આગામી તા. 9-9ના રોજ મતદાન અને 10-9ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. પરંતુ ખેડુત વિભાગની 10 બેઠકો પર 11 ઉમેદવારોએ ઝુકાવ્યુ હોવાથી આજે તમામ બેઠકો બીન હરીફ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે.
સુરેન્દ્રનગર જિલ્લાની સહકારી સંસ્થાઓમાં હાલ ચૂંટણીઓની મૌસમ આવી છે. ધ્રાંગધ્રા એપીએમસીની ચૂંટણી બાદ હવે મૂળી એપીએમસીની ચૂંટણી યોજાઈ રહી છે. મૂળી એપીએમસીની ચૂંટણીની જાહેરાત ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગરના નીયામક દ્વારા તા. 18-6ના રોજ કરવામાં આવી હતી. આ જાહેરાત થતા જ મુળીના સ્થાનીક રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો. મુળી એપીએમસીના ચૂંટણી અધીકારી અને જિલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળીઓ) કોમલબેન ચૌધરી, નીકુલગીરી ગોસ્વામી દ્વારા ચૂંટણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં અધીકૃત મતદાર યાદીની પ્રાથમીક પ્રસીધ્ધી, સુધારા-વધારા બાદ આખરી મતદાર યાદી 28-7ના રોજ કરાઈ હતી. જયારે ફોર્મ ભરાવા, ચકાસણી બાદ આજે તા. 2 -9ના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતીમ દિવસ છે. મુળી એપીએમસીમાં ખેડુત વિભાગની 10 બેઠકો માટે 11 ઉમેદવારોએ 12 ફોર્મ ભર્યા છે. ખેડૂત વિભાગના 163 મતદારો મતદાન કરનાર છે. જયારે વેપારી વિભાગની 4 બેઠક માટે 1 જ ઉમેદવારી પત્ર ભરાયુ છે. વેપારી વિભાગમાં 3 મતદારો નોંધાયેલા છે. ત્યારે ખેડુત વિભાગની 10 બેઠકો પર 11 ઉમેદવારોએ ઝુકાવ્યુ છે. ત્યારે ખેડુત વિભાગની તમામ બેઠકો ચૂંટણી પહેલા બીન હરીફ થાય અને એપીએમસીના ચૂંટણીમાં ઈલેકશનના બદલે સીલેકશન થઈ જાય તે માટે તનતોડ પ્રયાસો અંતીમ ઘડી સુધી કરવામાં આવનાર છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો