ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રમળેચી ગામે ગતરોજ એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવકની ઓળખ જુથળ ગામના ભરતભાઈ રમેશભાઈ સોંદરવા (ઉં.વ. 32) તરીકે થઈ છે, જેઓ જુથળ ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન અને જાણીતા સામાજિક કાર્યકર હતા.


શરીર પર ગંભીર ઈજાના નિશાન

ભરતભાઈનો મૃતદેહ રમળેચી ગામની સીમમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેમના માથા, પીઠ, હાથ અને ગળાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા છે. એટલું જ નહીં, તેમના ગુપ્ત ભાગે પણ ઈજા કરવામાં આવી હોવાનું સામે આવતા આ મામલો અત્યંત ક્રૂર હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું છે. ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટરો દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ (PM) કરવામાં આવ્યું હતું.

પોલીસ તપાસ અને પરિવારની માગ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારજનોની રજૂઆત બાદ તાલાલા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, ઘટનાના 24 કલાક વીતી જવા છતાં પોલીસ હજુ સુધી અસલી હત્યારાઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. હાલ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને શકમંદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Bharuch: જંબુસરના મગણાદ ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, ઉત્તર પ્રદેશના 25 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે મોત

  • Follow us on: