વાવ-થરાદ પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી વીજળીની અનિયમિતતા અને અચાનક વીજકાપના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને ઢીમા ફીડરમાં દરરોજ સાંજના સમયે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતો હોવાથી ખેડૂતોના ખેતીકાર્યો પર માઠી અસર પડી રહી છે. જેને લઈને ખેડૂતો થરાદ વીજ કચેરીએ ઘસી આવી રોષ ઠાલવ્યો હતો. વીજકાપથી કંટાળાયેલા સ્થાનિક ખેડૂતો કચેરીએ ઘસી આવી આક્ષેપ કર્યા હતા કે ઢીમા ફીડરમાં છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ સાંજે 5 વાગ્યે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે અને રાત્રે 10 વાગ્યે શરૂ કરવામાં આવે છે. ઉનાળા કે પાકને પાણી આપવાની મહત્વની સિઝનમાં પાંચ કલાકના આ અસહ્ય વીજકાપના કારણે ખેડૂતોના ખેતીકામ ખોરવાઈ ગયા છે અને પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. વીજળીની આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા આખરે રોષે ભરાયેલા ખેડૂતો થરાદ સ્થિત વીજ કંપનીની કચેરીએ દોડી ગયા હતા અને અધિકારીઓ સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. ખેડૂતોના આક્ષેપ છે કે વીજ કચેરીના અધિકારીઓ દ્વારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાને બદલે 'સવારે આવજો' કહીને તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. વારંવારના વીજકાપથી કંટાળેલા ખેડૂતોએ માંગ કરી છે કે વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે ઢીમા ફીડરનો વીજ પુરવઠો નિયમિત અને અવિરત કરવામાં આવે. જો આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
