વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ઇસમોને શોધી કાઢવા અને અસરકારક કામગીરી કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓ મુજબ વાવ પીઆઈએ એસ.એમ.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસે વાવ શહેરથી ગુમ થયેલી યુવતીને મુંબઈથી શોધી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
વાવ શહેરની આયશાબાનુ પુત્રી એહમદખાન રસુલખાન કુરૈશી ઉં.વ. 23 વર્ષ રહે. તાલુકા પંચાયતની પાછળ ગત તા. 08/08/2026ના રોજ કોઈને પણ જાણ કર્યા વગર પોતાના ઘરેથી અચાનક નીકળી ગઈ હતી, જે બાબતે વાવ પોલીસ સ્ટેશનમાં ગુમ જાહેરાત નોંધાવવામાં આવી હતી.વાવ પોલીસ દ્વારા ગુમ થયેલ યુવતીને શોધવા માટે ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ અને સર્વેલન્સની માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના આધારે યુવતી મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતેના થાણે વિસ્તારના કલવા-ખારેગાઉ સ્લમ વિસ્તાર (ઝૂંપડપટ્ટી)માં હોવાની ચોક્કસ હકીકત મળી આવી હતી. વાવ પોલીસ સ્ટેશનના પીએસઆઇ. એમ.કે.વસાવા અને તેમની ટીમ દ્વારા કલવા પોલીસ સ્ટેશન મુંબઈનો સહકાર મેળવીને યુવતીને હેમખેમ શોધી કાઢવામાં આવી હતી.પૂછપરછ દરમિયાન યુવતી મુંબઈ ખાતે ફરવા માટે ગઈ હોવાનું અને હાલ તે પોતાના માતા-પિતાના ઘરે જવા ઈચ્છતી હોવાનું જણાવતા, પોલીસે તેને મુંબઈથી વાવ પોલીસ સ્ટેશન ખાતે સહીસલામત લાવી તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
