ઉચ્છલ તાલુકાના ઉકાઈ વિસ્થાપિત ચઢવાણ સહિતના અનેક ગામોમાં દાયકાઓ પછી પણ દૂષિત પાણીના નિકાલ માટેની ગટરની સુવિધા પ્રાપ્ત થઈ ન હોવાથી શેરીઓના સાંકડા રસ્તાઓ ઉપરથી ખુલ્લેઆમ દુર્ગંધ મારતું પાણી બારેમાસ વહેતું રહેતા ગંદકીનું સામ્રાજ્ય વકરતુ રહે છે.
ઉકાઈ વિસ્થાપિત ગામોના કેટલાક રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યા છે. પાટીબંધારા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ચઢવાણ અને ચિત્તપુર તેમજ અન્ય વિસ્થાપિત ગામોમાં વર્ષો એટલે કે છેલ્લા પાંચ દાયકા વીત્યા છતાં ગટરલાઇન જેવી સુવિધા પહોંચી શકી નથી. પ્લોટિંગની જમીનમાં રહેણાંકના ઘરો બનાવી રહેતા પરિવારોની સાંકડી ગલીઓના રસ્તાઓ પણ ગંદકીથી ખદબદતા રહ્યા છે. મળતી વિગત મુજબ વર્ષ 1968 માં ઉકાઈ જળાશય યોજના અંતર્ગત વિસ્થાપિત થયેલા ચઢવાણ સહિતના ગામોએ દેશના વિકાસ માટે પોતાની સોના સમાન ફ્ળદ્રુપ જમીન આપી હતી. પરંતુ તે પછી અહીં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્રની બેદરકાર છે. આ ગામોમાં ગંદા પાણીના નિકાલ માટે ગટરની સુવિધા નથી. ઉનાળામાં પણ ચોમાસા જેવી સ્થિતિ ગામોની રહે છે.










