વડોદરામાં નબીરાઓની બેફામ ગાડીઓ નિર્દોષ લોકો માટે કાળ બની રહી હોય તેમ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યુબિલીબાગથી રાવપુરા તરફ જતી એક લક્ઝુરિયસ રેન્જ રોવર કાર ટાવર ચાર રસ્તા પાસે બેકાબૂ બની હતી. કાર એટલી ગતિમાં હતી કે તે ડિવાઈડર કૂદીને સીધી ટ્રાફિક સિગ્નલના પોલ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કારચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.
કાર ડિવાઇડર કૂદીને સિગ્નલ પોલ સાથે અથડાઇ
ઘટનાસ્થળની બાજુમાં જ આવેલા મંદિરના પૂજારી શૈલેષ મિસ્ત્રીએ આ અંગે ચોંકાવનારી વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બે મિત્રો વચ્ચે કારની રેસ લાગી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો.જો આ અકસ્માત વહેલી સવારે કે દિવસના સમયે થયો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. આવા ખાનદાની નબીરાઓને તાત્કાલિક ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.શહેરમાં નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે.










