ડભોઇ તાલુકાના કાયાવારોહણ ગામે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. શિવલિંગના અગ્ર ભાગમાં સ્વયં પ્રતિષ્ઠિત ભગવાન લકુલીશજીની મૂર્તિ સાથે શિવલિંગ ધરાવતું દેશનું એકમાત્ર મંદિર કાયાવારોહણ ગામમાં આવેલું છે.
જે ગુજરાતના કાશી તરીકે ઓળખાય છે. આ મહાતીર્થ કાયાવારોહણ જે સતયુગથી અસ્તિત્વ ધરાવતી આધ્યાત્મિક નગરી છે. ભગવાન શિવજીનો 28માં અવતારની અવતાર ભૂમિ છે. જ્યાં સ્વયં ભગવાન લકુલીશજીએ સ્વપ્નમાં આદેશ આપ્યો તે મુજબ, યોગાચાર્ય શ્રી કૃપાલ્વાનંદજી મહારાજે 3 મે, 1974ના રોજ મંદિરની સ્થાપના કરી હતી. આ મહાતીર્થ મહર્ષિ વિશ્વામિત્રી મહર્ષિ અત્રિ, મહર્ષિ ભૃગુ ઋષીની તપોભૂમિ છે.
