વડોદરા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરસાણ અને ખાદ્યપદાર્થો બનાવતા વેપારીઓ દ્વારા વારંવાર તળેલા તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ડોક્ટરોએ આ પ્રકારના તેલના ઉપયોગથી માનવ શરીર પર થતી ગંભીર અસરો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તળેલા તેલની 'ઝેરી' અસર
જાણીતા ડોક્ટર ગિરીશ પારેખના નિવેદન મુજબ, એક જ તેલનો વારંવાર ઉપયોગ કરવાથી શરીરમાં કેન્સર જેવા ગંભીર રોગો થવાની શક્યતા વધી જાય છે, કારણ કે તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) નું પ્રમાણ જોખમી સ્તરે પહોંચી જાય છે. ડો. પારેખે જણાવ્યું હતું કે સરકારે આ મામલે કાયદા બનાવ્યા છે, પરંતુ તેમાં હજુ વધુ સુધારાની જરૂર છે. હાલમાં ખોરાક શાખા દ્વારા જે પગલાં લેવાય છે, તે માત્ર બે-ત્રણ દિવસ પૂરતા જ હોય છે. તેમણે માંગણી કરી છે કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા આવા વેપારીઓ સામે સખત અને કાયમી પગલાં ભરવા જોઈએ, જેથી આ ગંભીર સમસ્યા પર નિયંત્રણ લાવી શકાય.













